AHAVADANG

ચોમાસું આવતાં જ ડાંગના ઝરણા અને નદીઓમાં જીવંત બની કરચલા( કેકડા) પકડવાની સદીઓ જૂની પરંપરા

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લો તેની હરિયાળી, ગાઢ જંગલો, નદીઓ, ઝરણાં અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે સમગ્ર ગુજરાતમાં આગવુ સ્થાન ધરાવે છે.આ જૈવવિવિધતાનો એક મહત્વનો ભાગ છે મીઠા પાણીમાં જોવા મળતા કરચલા, જેને ડાંગના આદિવાસી સમાજમાં સામાન્ય રીતે “કેકડા” તરીકે ઓળખવામાં આવે છે,જ્યારે ગામીત ભાષામાં તેમને “કુઅલી” કહેવામાં આવે છે.અને ઇંગ્લિશમાં freshwater Crab કહે છે.ડાંગ પર્યાવરણ સંશોધન કેન્દ્ર (DNRC)નાં અમિતભાઈ રાણાના જણાવ્યા મુજબ, ચોમાસાની શરૂઆત થતા જ ડાંગના આદિવાસીઓ પરંપરાગત રીતે કરચલા પકડવાની શરૂઆત કરે છે. હાલ ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જોવા મળતી કરચલાની વિવિધ પ્રજાતિઓનું ડોક્યુમેન્ટેશન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.તેમના જણાવ્યા અનુસાર, ડાંગી આદિવાસીઓ માટે કરચલા દેવ સમાન માનવામાં આવે છે.તેઓ પોતાના પરંપરાગત આહારમાં પણ કરચલાનો ઉપયોગ કરે છે અને કરચલાનું સૂપ તંદુરસ્તી માટે લાભદાયી માનવામાં આવે છે.ડાંગ જિલ્લામાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કરચલા જોવા મળે છે – કાળા, સફેદ તેમજ લાલ (કેસરી) રંગના કરચલા. દરેક પ્રકારની પોતાની આગવી વિશેષતા છે. કાળા કરચલા મુખ્યત્વે રાત્રિના સમયે વધુ સક્રિય હોય છે અને જોવા મળે છે, જ્યારે સફેદ અને કેસરી કરચલા દિવસ દરમિયાન વધુ જોવા મળે છે.અમિતભાઈ રાણાના જણાવ્યા મુજબ, શિયાળાની ઋતુમાં કરચલાની સંખ્યા પ્રમાણમાં વધુ જોવા મળે છે. જ્યારે ચોમાસા દરમિયાન તેમના નાના બચ્ચા હોવાથી મોટાભાગના કરચલા પોતાના દર (બખોલ)માં અથવા સુરક્ષિત સ્થળે રહેવાનું પસંદ કરે છે. તેઓ સામાન્ય રીતે નદી, ઝરણાં અને વહેતા પાણીના કિનારે પથ્થરોની નીચે અથવા જમીનમાં બનાવેલા દરમાં રહે છે. જોકે તેઓ નદીના ખૂબ ઊંડા ભાગમાં જતાં નથી.ડાંગ જિલ્લામાં કાળા કરચલાની સંખ્યા ઓછી હોવાથી તેની બજારમાં સારી માંગ રહે છે.સ્થાનિક બજારમાં તેની કિંમત અંદાજે ₹300થી ₹400 પ્રતિ કિલોગ્રામ સુધી હોય છે, જ્યારે સફેદ કરચલા પ્રમાણમાં વધુ ઉપલબ્ધ હોવાથી તેમની કિંમત ઓછી હોય છે.ડાંગી આદિવાસીઓ પેઢીઓથી પરંપરાગત પદ્ધતિઓ દ્વારા કરચલા પકડે છે. તેઓ નદી અને ઝરણામાં જાળી ગોઠવે છે તેમજ “કટવા” નામના ખાસ સાધનનો ઉપયોગ કરે છે. કટવા વાંસમાંથી બનાવવામાં આવતું પરંપરાગત સાધન છે, જે ખાસ કરીને કરચલા પકડવા માટે વપરાય છે. તેમાં માછલીના હાડકા, મરઘાના આંતરડા તથા અન્ય ખાદ્ય અવશેષો મૂકીને તેને રાત્રે નદીમાં ડૂબાડી રાખવામાં આવે છે. બીજા દિવસે સવારે તેમાં ફસાયેલા કરચલા બહાર કાઢવામાં આવે છે.ડાંગના કેટલાક આદિવાસી પરિવારો કરચલાનો ઉપયોગ પરંપરાગત ખોરાક તરીકે પણ કરે છે. ચોમાસા અને શિયાળાની ઋતુમાં કરચલામાંથી બનતી વિવિધ વાનગીઓ સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલીનો મહત્વનો ભાગ છે.ડાંગના કરચલા માત્ર એક જળચર પ્રાણી નથી, પરંતુ આ વિસ્તારની પ્રકૃતિ, પરંપરા, આદિવાસી જ્ઞાન અને જીવનપદ્ધતિ સાથે જોડાયેલો જીવંત વારસો છે. આ પરંપરાગત જ્ઞાન અને કુદરતી સંપદાનું સંરક્ષણ કરવું સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત છે, જેથી આવનારી પેઢીઓ પણ ડાંગની આ અનોખી જૈવવિવિધતા અને સાંસ્કૃતિક વારસાને નજીકથી જાણી શકે..

Back to top button
error: Content is protected !!