
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુરની વાત્રક નદીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર,વાત્રક બ્રિજ પર સેફ્ટી જાળી નાખવાની માંગ,
વાત્રક બ્રિજ પર સેફ્ટી જાળી નાખવાની માંગ, નહીં તો કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રાની લાલજી ભગતની ચેતવણી

માલપુર શહેર નજીકથી પસાર થતી વાત્રક નદીમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નદીમાં પુરુષની લાશ તરતી જોવા મળતા સ્થાનિકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં માલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે માલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક પુરુષ માલપુરનો જ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પુરુષનું મોત કયા સંજોગોમાં થયું તે અંગેનું ચોક્કસ કારણ પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.દરમિયાન, વાત્રક બ્રિજ પર સેફ્ટી જાળી નહીં હોવાના મુદ્દે ગુજરાત વાલ્મિકી સમાજના લાલજી ભગતે તંત્ર સમક્ષ મહત્વની માંગ ઉઠાવી છે. વાત્રક બ્રિજ પર તાત્કાલિક સેફ્ટી જાળી નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.લાલજી ભગતે ચેતવણી આપી છે કે જો બ્રિજ પર સેફ્ટી જાળી નહીં નાખવામાં આવે તો તેઓ કલેક્ટર કચેરી સુધી દંડવત યાત્રા કરશે. આ ઘટનાને પગલે વાત્રક બ્રિજની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.



