દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભકામના પાઠવતા જિલ્લા કલેકટરશ્રી અશોક શર્મા
***
શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સર્કીટ હાઉસ પાછળનું મેદાન, દ્વારકા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં કલેકટરશ્રીએ એએસપી શ્રી રાઘવ જૈન સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડમાં પોલીસ, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ સહિતની ટુકડીઓ સહભાગી થઈ હતી.
જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આ શાનદાર ઉજવણીમાં ઉપસ્થિત રહેલા સર્વેને અભિનંદન પાઠવું છું. સ્વામી રામતીર્થના સુંદર વાક્ય “મે ભારત હું, સંપૂર્ણ ભારત, ભારત કી ભૂમિ મેરા શરીર હૈ, કન્યાકુમારી મેરે ચરણ હૈ, હિમાલય મેરા મસ્તક હૈ,ને યાદ કર્યું હતું. અને આગળ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ વધુ યાદગાર રહી છે. આપ સૌ જાણો છો કે તા. ૦૯ ઓગસ્ટથી સમગ્ર દેશમાં મારી માટી, મારો દેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશના સપૂતોને શ્રધાંજલિ આપવાના આ અભિયાનમાં સામેલ થઈ આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને યાદગાર બનાવવા પ્રતિબદ્ધ છીએ. અનેક જાણીતા, અજાણ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના અમૂલ્ય બલિદાનને કારણે આપણે આ આઝાદી મળી છે. ત્યારે આ આઝાદીને જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.
G-૨૦ એ વિશ્વનું એક શક્તિશાળી સંગઠન છે. જેનું અધ્યક્ષપદ આ વર્ષે ભારતને મળેલું છે. ગુજરાતમાં અને ભારતમાં યુવા સમિટ, મહિલા સમિટ અને શહેરી સમિટ યોજાઇ રહી છે. આ સમીટોના કારણે વિશ્વના અનેક તજજ્ઞો અને વિવિધ વિષયના નિષણાંતો ગુજરાતના મહેમાન બની રહ્યા છે. જેના કારણે આગામી સમયમાં ગુજરાતમાં ઉદ્યોગો, પ્રવાસન જેવા મહત્વના ક્ષેત્રમાં ફાયદો થશે. વર્ષ ૨૦૨૩ -૨૪ માટે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૩ લાખ કરોડથી વધુનું બજેટની ફાળવણી કરીને ગુજરાતના વિકાસની નવતર ભાષા અંકિત કરવામાં આવી છે. તેમાં દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે કોરીડોર બનાવવામાં આવશે. જેનાથી રોજગારીની તકો ઊભી થશે.
વધુમાં જણાવ્યું હતું કે, કૃષિના વિકાસ માટે સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ આપણા જિલ્લાના ખેડૂતોને પણ મળી રહ્યો છે. જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ત્યારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ આપવામાં આવી રહ્યો છે.
પરેડ નિરીક્ષણ કરતી વખતે જોયું કે મહિલા પોલીસની પણ પ્લાટુન છે. જે મહિલા સશકિતકરણ દર્શાવી રહ્યું છે. કૌશલ્યવાન યુવાઓને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં ૪૬૨ જેટલા ભરતી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં ૨૫૦૦થી વધુ કર્મયોગીઓને નિમણૂકપત્ર આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા છે.
પ્રત્યેક નાગરિક સ્વસ્થ રહે તે માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૨૫ લાખથી વધુ લાભાર્થીઓને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આ યોજના હેઠળની સહાય રૂ. ૫ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે. શહેરો પણ વધુ સ્માર્ટ બની રહ્યા છે.
શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટે અને કન્યા કેળવણી માટે જિલ્લાનો શિક્ષણ વિભાગ સતત કાર્યરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સ્વપ્નનું ઘર મળી રહ્યું છે.
બિપરજોય વાવાઝોડા વખતે ઝીરો કેજ્યુઆલીટી રહી છે. જિલ્લા પ્રશાસન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આજે એ તમામ લોકોને અભિનંદન પાઠવું છું.
અંતમાં જણાવ્યું હતું કે આ જ તો ગુજરાતના વિકાસની ખુમારી, આફતોના મુકાબલા માટેની સજ્જનતાની, સૌના સાથથી સૌના વિકાસ કરવાની તમન્નાની, ગુજરાતને ભવ્ય અને દિવ્ય બનાવવાની પરિશ્રમ યાત્રાની સ્વાતંત્ર્ય પર્વની પુનઃશુભકામના પાઠવું છું.
કાર્યક્રમ અંતર્ગત દ્વારકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખની રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. યોગનું મહત્વ સમજાવતી, દેશભક્તિ દર્શાવતી કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. તેમજ સ્વાતંત્ર્ય સેનનીઓના પરિવારજનોનું, શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધનાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેશ જોટાણીયા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પરમાર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સમીર શારડા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, અગ્રણીશ્રી યુવરાજસિંહ વાઢેર, રમેશભાઈ હેરમાં, છાત્રો તેમજ નગરજનો જોડાયા હતા.