તા.૧૮/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધોરાજી તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ “શ્રી મુરલી મનોહર મંદિર” તાલુકા પંચાયતનાં કર્મયોગીઓનાં શ્રમદાન થકી દીપી ઉઠ્યું
Rajkot, Dhoraji: અયોધ્યા ખાતે ભગવાનશ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોએ સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું હતું. વડાપ્રધાનશ્રીના આહવાન પરત્વે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં પ્રતિબદ્ધતા દાખવી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે ત્યારે રાજકોટ જિલ્લામાં આવેલા સૌરાષ્ટ્રના ઐતિહાસિક સુપ્રસિદ્ધ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકામાં સુપેડી ગામમાં ઉતાવળી નદીના કાંઠે આવેલ અંદાજે ૭૫૦ વર્ષથી વધુ પુરાણું ઐતિહાસિક ભગવાન શ્રી કૃષ્ણનું મુરલી મનોહર મંદિર આવેલું છે. ધોરાજી તાલુકા પંચાયતના કર્મયોગીઓએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તથા “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સાર્થક કરવા પુરાતત્ત્વ વિભાગ હસ્તકનાં આ મંદિરમાં શ્રમદાન કરી મંદિ, મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારની સામૂહિક રીતે સાફ-સફાઈ હાથ ધરી વધારાનો કચરો, પ્લાસ્ટિક, ઝાડી-ઝાંખરા વગેરે દૂર કરીને એકત્રિત થયેલા ઘન કચરાને સુવ્યવસ્થિત રીતે નિકાલ કરી મંદિર પ્રાંગણના વૃક્ષોના થડ ઉપર લાલ અને સફેદ રંગ કરવામાં આવ્યો હતો.
આ સફાઈ અભિયાનમાં જોડાયેલા સુપેડી સરપંચશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.સી.સરતેજા, વિસ્તરણ અધિકારીશ્રીઓ શ્રી એમ.પી.સોજીત્રા, શ્રી ડી.ડી.મહેતા, શ્રી એમ.પી.સોજિત્રા, શ્રી અજયભાઈ સાકરિયા, શ્રી જે.જે.જાડેજા, સુપેડી તલાટી મંત્રીશ્રી સહિત તાલુકા પંચાયતના કર્મયોગીઓના સહિયારા પ્રયાસ થકી મુરલી મનોહર મંદીર સ્વચ્છ, સુઘડ અને મનમોહકતાથી દીપી ઉઠયું હતું.