
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા – ૧૭ ઓગસ્ટ : સનરાઇઝ એકેડમી, ભુજની વિદ્યાર્થીની ધ્યાની અલ્પેશકુમાર જાનીએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ધો.૮ માં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી શાંતિકુંજ- હરિદ્વાર મધ્યે ભારતીય સંસ્કૃતિ વિષયક વક્તૃત્વ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી કચ્છ જિલ્લાનું નામ ગૌરવભેર રોશન કર્યું હતું.ધ્યાની જાનીની આ સ્વર્ણિમ સિદ્ધિને બિરદાવવા માટે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મુન્દ્રા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિશેષ સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ઓ, કલેક્ટર, પૂર્વ અને પશ્ચિમ કચ્છના SP, મુન્દ્રા નગરપાલિકા પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ની ઉપસ્થિતિમાં ધ્યાની જાનીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર તથા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રામાવસિયા, IAS દ્વારા પણ ધ્યાની જાનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સન્માનપત્રમાં ધ્યાનીની પ્રતિભા અને સિદ્ધિને બિરદાવતાં ભવિષ્યમાં પણ પોતાની પ્રતિભા દ્વારા સમાજ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્તમ યોગદાન આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.ધ્યાની જાનીના આ સન્માનથી સનરાઇઝ એકેડમી, ભુજ તથા તેમના પરિવારજનોમાં ગૌરવની લાગણી પ્રસરી છે. શાળાના ટ્રસ્ટી, આચાર્યા ભારતીબેન પરમાર તેમજ સમગ્ર શાળા પરિવારે ધ્યાનીને અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.




