વિજયનગરના લિમડા ગામના શિક્ષિત વિણાબેન સ્વસહાય જૂથમાં જોડાઇ આદિજાતી મહિલાઓને પગભર બનાવી
વિજયનગરના લિમડા ગામના શિક્ષિત વિણાબેન સ્વસહાય જૂથમાં જોડાઇ આદિજાતી મહિલાઓને પગભર બનાવી
****
વિણાબેને ૧૦૫ જુદા-જુદા જૂથો બનાવી આદિજાતી વિસ્તારની શ્રેષ્ઠ બી.સી. સખી તરીકે કામગીરી કરી
****
વિજયનગરના તાલુકાના લીમડા ગામના આદિજાતી પરીવારના પાંડવ વિણાબેન રમેશભાઇ અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના થકી તાલીમ મેળવી પોતે પગભર બની અન્ય મહિલાઓ માટે પ્રેરણા બની હાલ બેંક સખી તરીકે સરાહનીય કામગીરી કરી રહ્યા છે.
વિણાબેન જણાવે છે કે, વર્ષ ૨૦૧૨માં તેઓના ગામે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના થકી કરવામાં આવેલ એક કાર્યક્રમમાં હાજરી આપી. યોજનામાં જોડાવાના ફાયદા વિશે માહિતગાર થઈ તેજ સમયે તેઓએ તેમના ફળિયામાં રહેતી ૧૦ મહિલાઓ ભેગી થઈ સ્વસહાય જૂથની રચના કરી. જૂથના તમામ સભ્યોએ વિણાબેનને પ્રમુખ બનાવ્યા હતા.
વિણાબેન પોતે તો મંડળમાં જોડાયા પરંતુ તેમના ગામમાં વસવાટ કરતા અન્ય જરૂરિયાતમંદ તમામ મહિલાઓને જૂથોમાં જોડી હતી. આ સરાહનીય કામગીરીના આધારે ભારત સરકાર દ્વારા વર્ષ-૨૦૧૮ માં NRLM યોજનામાં બેંક સખીની પોલિસી લાગુ પાડી તેમાં તેઓને બેંક સખીની કામગીરી કરવા માટે પસંદગી કરવામાં આવી. બેંક સખીની તાલીમ મેળવ્યા બાદ તેઓને વિજયનગર તાલુકાની બેંક ઓફ બરોડા ચિઠોડા બ્રાંચમાં નિમણુંક આપવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૮ માં તેઓના બેંકમાં કુલ ૭૫ સક્રિય જૂથો હતા. અને તેમાંથી માત્ર ૫૩ જૂથોને જ બેંકમાંથી ધિરાણ મળેલું હતું. વિણાબેન દ્વારા બેંક સખી તરીકેની કામગીરીની શરૂઆત કરતા તેઓ થકી હાલમાં કુલ ૧૦૫ જૂથોની રચના કરવામાં આવી છે. તેઓની બેંકમાં બચત ખાતા ધરાવતા જૂથો પૈકી અત્યાર સુધીમાં કુલ ૨૧૧ સ્વસહાય જૂથોને (રીપેટ લોન સહીત) ૧૬૪.૮૦ લાખ રકમનું ધિરાણ કરાવ્યું છે.
સ્વસહાય જૂથોની મહિલાઓને ધિરાણ અપાવી તેઓને આર્થિક પ્રવુતિ કરતા પણ કર્યા છે. જેમાં ખાસ કરી પશુપાલન, ખેતી, મરધા પાલન, વન્ય ગૌણ પેદાશો, બ્યુટી પાર્લર, પાપડ વડી બનાવટ, સિલાઈ કામગીરી, કરીયાણાની દુકાન અને અનાજ દળવાની ઘંટી જેવી પ્રવુતિ સાથે મહિલાઓનું જોડાણ કરાવ્યું છે.
બેંક સખી તરીકેની સારી કામગીરી જોઈ બેંક મેનેજર દ્વારા તેઓને બીસી સખી તરીકે કામગીરી કરવા માટે પોત્સાહિત કરવામાં આવ્યા અને તેઓને વર્ષ ૨૦૨૨ માં બીસી સખીની તાલીમ મેળવી તેજ બેંકમાં બીસી સખીની કામગીરી શરુ કરી.બીસી સખી તરીકે તેઓએ અત્યાર સુધીમાં કુલ ૧૯,૯૫૨ ટ્રાન્ઝેકશન તેમજ રૂ.૧૯,૮૮,૯૨૫ રકમ લોકો સુધી પહોચાડી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા