અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વાંસદા તાલુકાના નદીકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતરની કાર્યવાહી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તકેદારીના ભાગરૂપે વાંસદા તાલુકાના નદીકાંઠા અને ડેમથી અસરગ્રસ્ત ગામોના લોકોને આશ્રયસ્થાને પહોંચવા અપીલ:
નવસારી : ગુરુવાર : હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ અને તેજ પવન/વાવાઝોડાની આગાહી જાહેર કરવામાં આવતા વાંસદા વહીવટી તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના ભાગરૂપે નદીકાંઠા અને ડેમથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ અંતર્ગત વાંસદા તાલુકાના પ્રતાપનગર, ધરમપુરી અને વાંસદા ગામોના નદી કિનારે તથા ખાડી નજીક આવેલા ફળિયાઓમાં વહીવટી તંત્ર દ્વારા રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક રહેવાસીઓને સંભવિત જોખમ અંગે સમજણ આપવામાં આવી હતી. રહેવાસીઓને સાવચેતીના ભાગરૂપે વિલંબ કર્યા વગર વહેલામાં વહેલું સલામત સ્થળે સ્થળાંતર કરી નિયત કરાયેલા આશ્રયસ્થાનો પર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત વાંસદા તાલુકાના નદી કિનારા તથા ડેમના પાણીથી અસરગ્રસ્ત બની શકે તેવા અન્ય ગામોમાં પણ તંત્ર દ્વારા માઈકિંગ, રૂબરૂ સંપર્ક અને સ્થાનિક પ્રતિનિધિઓના સહયોગથી લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા, નદી-નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.




