વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૫ ઓક્ટોબર : કચ્છમાં દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક અને પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરિત અસરથી રક્ષણ માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો નામદાર સુપ્રીમકોર્ટે કરેલ છે જેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે તથા જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવા જરુરી જણાય છે.
જેથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ, કચ્છ-ભુજ,દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં તા.૦૫/૧૧/૨૦૨૫ સુધી નીચે મુજબના ફટાકડા અંગેના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે ફરમાવેલ છે.
દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી જ ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ) (Series Cracker of Laris)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel level)વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા ગેરકાયદેસર આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. તમામ ઈ-કોમર્સ વેબસાઈટને તમામ પ્રકારનાં ફટાકડાનાં ઓનલાઈન ઓર્ડર લેવા પર તથા ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકેલ છે. જે સૂચનાનું પાલન કરવાનું રહેશે. લોકોને અગવડ ઉભી ન થાય, કોઈ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કચ્છ જિલ્લાના બજારો, જાહેર રસ્તાઓ , પેટ્રોલપંપ, એલ.પી.જી./બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન(ચાઈનીઝ તુક્કલ/આતશબાજ બલૂન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સધારક વેપારીઓ દ્વારા કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રીમ કોર્ટના તા.૨૩/૧૦/૨૦૧૮ના આદેશ મુજબ માન્ય રાખવામાં આવેલ ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાનાં, જાહેરનામાનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજૂ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.