ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો, 108ને કાર્ડિયાક ઈમરજન્સી કોલમાં 202%નો વધારો

ગુજરાતમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. છેલ્લા 15 વર્ષોમાં કેસની સંખ્યા ખૂબ વધી છે. 108ને કાર્ડિયાક ઈમરજન્સી કોલમાં 202%નો વધારો થયો છે તો ચાલુ વર્ષે 108ને કાર્ડિયાક ઈમરજન્સીને 8 હજાર 918 કોલ મળ્યા હતા. યુવાનોએ આ સમાચારથી ચેતી જવાની જરુર છે. કારણ કે તેનો સૌથી વધુ ભોગ યુવાનો બની રહ્યાં છે.
ગુજરાતમાં હાલ દરરોજ સરેરાશ 294 વ્યક્તિને હૃદયની સારવાર માટે ‘108’ ની જરૂર પડે છે. આ સ્થિતિ યથાવત રહી તો વર્ષના અંત સુધીમાં હૃદયની ઈમરજન્સીના કેસ 1.07 લાખને પાર જઈ શકે છે. હાલ રાજ્યમાં હૃદયની ઈમરજન્સીના જે કેસ નોંધાયા છે તેમાંથી 26 ટકા તો માત્ર અમદાવાદમાંથી હોય છે.
અમદાવાદમાં આ વર્ષે પ્રથમ 6 મહિનામાં હૃદયની સમસ્યાના 13760 કેસ નોંધાઈ ચૂક્યા છે. ‘108’ માં આવતા હૃદયની સમસ્યાના ચારમાંથી 1 કોલ્સ માત્ર અમદાવાદમાંથી હોય છે. સુરત બીજા, રાજકોટ ત્રીજા, ભાવનગર ચોથા જ્યારે વડોદરા પાંચમાં સ્થાને છે.




