ગુજરાતનાં મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, આકરી ગરમીને લઈને લોકો પણ અકળાયા છે
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમીને લઈને લોકો પણ અકળાયા છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં હજુ પણ વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં 44, અમદાવાદમાં 41 ડિગ્રી જ્યારે વડોદરામાં 41 અને સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 43, સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી અને ભુજમાં 43, ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઈડરમાં 42, પાલનપુરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે 30 એપ્રિલથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, 10 અને 11 મે સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. સાથો સાથ બાગાયતી પાકોમાં પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ આવવાની સંભાવના પણ તેમને વ્યક્ત કરી છે.
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.