વેરાવળમાં રેશનનું અનાજ ગરીબો પાસેથી વેપારીઓ સસ્તામાં ખરીદી બજાર ભાવે વેચે છે !!!
સામાજિક અગ્રણીએ આવી ખરીદી બંધ કરાવી લેભાગુ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરતા મામલતદારએ તપાસ હાથ ધરી
વેરાવળ- પ્રભાસપાટણમાં ગરીબ વર્ગના લોકોને સરકારની યોજના મુજબ સસ્તા અનાજની દુકાનોમાંથી મફતમાં ચોખા, ઘઉં સહિતનું અનાજ મળે છે. આ અનાજ ગરીબ લોકોને લાલચ આપીને અમુક વેપારીઓ સસ્તા ભાવે ખરીદી કરીને છૂટક બજારમાં ઉંચા ભાવે વેચાણ કરી મોટી કમાણી કરી રહ્યા છે. જેના લીધે ગરીબવર્ગના લોકોને પાછળથી હેરાન થવું પડી રહ્યું હોય જેને ધ્યાને લઇ આવી ખરીદી બંધ કરાવવામાં આવે અને આવી ખરીદી કરતા વેપારીઓ સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી થાય
તેવી સામાજિક આગેવાનએ મામલતદારને પત્ર પાઠવી માગણી કરી છે. વેરાવળના સામાજિક અગ્રણી સલીમભાઈ મુંશીએ મામલતદાર અને પોલીસને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે, કોરોનાકાળથી સરકાર દ્વારા ગરીબવર્ગના લોકો ભૂખ્યા ન રહે તે માટે ઘઉં, ચોખા સહિતનું અનાજ મફતમાં આપી રહી છેપરંતુ આ ગરીબ વર્ગના લોકોને જોડીયા શહેરના અમુક વેપારીઓ પૈસાની લાલચ આપી તેઓને મળતુ મફતનું અનાજ સસ્તા ભાવે ખરીદે છે. જેમાં શહેરમાં ગાંધીચોક વિસ્તારમાં તથા પ્ર. પાટણમાં શાકભાજી માર્કેટ વિસ્તારમાં હોલસેલ કરિયાણાનીદુકાનો ધરાવતા અમુક વેપારીઓ દ્વારા ગરીબવર્ગના લોકો પાસે સસ્તાભાવે રેશનિંગનું અનાજ ખરીદ કરે છે. બાદમાં આ સરકારી અનાજ મોટા વાહનોમાં ભરીને છૂટક બજારમાં ઉંચા ભાવે વેચે છે તો અમુક લેભાગુ વેપારીઓ સરકારી અનાજને દળાવી તેના લોટનું છૂટક વેંચાણ કરી ઉંચો નફો કમાઈ રહ્યા છે. ઉપરોક્ત વિગતોને ધ્યાને લઈ સરકારી અનાજની ખરીદી કરતા લેભાગુ વેપારીઓ અને કહેવાતા પત્રકારો સામે કાયદેસરના પગલાં લઈ કાર્યવાહી કરવા અને અનાજની ખરીદી સત્વરે બંધ કરાવવા અંતમાં માગણી કરી છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ