અમદાવાદ જિલ્લામાં બાગાયતી ખેતીમાં વૃદ્ધિ: ત્રણ વર્ષમાં ૩૫ હજાર ખેડૂતોને ૨૨.૯૧ કરોડની સહાય
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકારની બાગાયતી સહાય યોજનાઓનો મક્કમ લાભ મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં ૩૫,૮૬૯ ખેડૂતોએ પોર્ટલ પર બાગાયતી યોજનાઓ માટે અરજી કરી છે અને સરેરાશ રૂપિયા ૨૨.૯૧ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની અનુકૂળ નીતિઓ અને ટેક્નોલોજી આધારિત ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતોએ ઘરબેઠા સહાય મેળવવા માટે વધુ વિશ્વાસ ધરાવવાનું શરૂ કર્યું છે. આઈ-ખેડૂત પોર્ટલ ખેડૂતો માટે વિશ્વસનીય સાધન બની ચૂક્યું છે.
વર્ષવાર જુએ તો ૨૦૨૨-૨૩માં ૧૧,૧૧૫ અરજીઓથી રૂ. ૭.૦૧ કરોડ, ૨૦૨૩-૨૪માં ૧૧,૭૦૩ અરજીઓથી રૂ. ૭.૨૦ કરોડ અને ૨૦૨૪-૨૫માં ૧૩,૦૫૧ અરજીઓથી રૂ. ૮.૭૦ કરોડની સહાય ચૂકવાઈ છે.
આ અંગે અમદાવાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક (ઈ. ચા) જયદેવ પરમારએ જણાવ્યું હતું કે, ખેડૂતો હવે પોર્ટલ પર વિવિધ ૪૭ ઘટકો હેઠળ અરજી કરી શકે છે. પોર્ટલની સરળતા અને પારદર્શિતા ખેડૂતોને ટેકનફ્રેન્ડલી બનાવે છે અને તેમને લાભ મળે છે.
માંડલ તાલુકાના ખેડૂત પરેશ મોરીએ દાડમ પાક માટે ગ્રો કવર હેઠળ સહાય મેળવવા સફળ અરજી કરી હતી અને નાણાકીય લાભ પ્રાપ્ત કર્યો હતો. દેત્રોજના ખેડૂત મહેન્દ્ર પટેલે પ્રાકૃતિક શાકભાજીના ઘટક હેઠળ સહાય માટે અરજી કરી હતી અને જણાવ્યું કે, બાગાયત ખાતા તરફથી જરૂરી માર્ગદર્શન સરળતાથી મળતું રહે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫-૨૬ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૩૧ મે ૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. આગામી વર્ષ માટે ખેડૂતોએ નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ સહાય માટે અરજી કરવાની રહેશે.