વાગરા: વીંછીયાદ ગામની નગરીમાં કેડ સુધી પાણી ભરાતા તંત્ર દોડતુ થયુ, આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશાયી થયા


૧૨ થી વધુ ઘરના ૮૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ..
વાગરા ડિઝાસ્ટરના નાયબ મામલતદારએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી..
વાગરાના આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશાયી થયા..
વાગરા તાલુકાના વીંછીયાદ ગામે વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. બનાવની જાણ વાગરા મામલતદાર કચેરીના ડિઝાસ્ટર વિભાગને થતા નાયબ મામલતદાર ભુપતભાઇ પ્રજાપતિ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા હતા. અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. ગ્રામ પંચાયત વીંછીયાદ દ્વારા અસરગ્રસ્ત ૧૨ થી વધુ ઘરોના ૮૦ જેટલા લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળામાં આશરો આપ્યો હતો. અવિરત પડેલ વરસાદને કારણે વાગરા તાલુકાના આંકોટ ગામે એક ઘર ધરાશાયી થવા પામ્યુ હતુ. જ્યારે વિલાયત ગામે પણ બે ઘરો પડી ગયા હોવાની માહિતી સાંપડી હતી. જોકે ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાની નહિ થતા તંત્રએ હાશકરો અનુભવ્યો હતો. પાણીની આવક વધવા અંગે વીંછીયાદના ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, વીંછીયાદ અને વાગરા વચ્ચેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કાસમાં પાણી છોડવામાં આવતા પાણીનો સ્ત્રોત વધી જવા પામ્યો હતો. અને તેને કારણેજ અમારા ગામમાં સહિત ખેતરોમાં પણ પાણીનો ભરાવો થયો છે. જે એક ગંભીર બાબત છે. તંત્ર આ અંગેની તપાસ કરે જેથી બીજા વખતે અમારા ગામના લોકો અને ખેડૂતો ભોગ બને નહિ. જોકે, આ બાબતે વાગરા મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જરૂરી તપાસ કરવાની હૈયા ધરપત આપી હતી.
સમીર પટેલ.. ભરુચ




