GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Jetpur: રાજકોટ જિલ્લાની અનોખી બેંક “ગૌમૂત્ર બેંક” પ્રાકૃતિક ખેતીને વેગ આપવા “પોષણ પ્રાકૃતિક ફાર્મ” દ્વારા ગૌમૂત્ર બેંક થકી ગાયના નિભાવમાં કરવામાં આવે છે સહાય

તા.૨૫/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગૌમૂત્રમાંથી બનાવાય છે પંચગવ્ય ઉત્પાદનો: અર્ક અને જૈવ રસાયણ દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાના પ્રયાસો કરતાં રાજુભાઈ પટોળીયા

આલેખન – ડો. દિવ્યા ત્રિવેદી

Rajkot, Jetpur: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ રીતે ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામના ખેડૂત શ્રી રાજુભાઈ પટોળીયાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વ્યવહારુ રીતે પડતી મુશ્કેલીઓ વિશે જાણી વિશિષ્ટ બેંકની રચના કરી છે. રાજુભાઈ પટોળીયાએ પોતાના ત્રણ એકરના ખેતરમાં પ્રાકૃતિક ખેતી સાથે જ ગૌમુત્ર બેંક બનાવી અર્ક બનાવવાનું માળખું બનાવ્યું છે.

વર્ષ ૨૦૧૧માં પ્રાકૃતિક ખેતીના પાઠ ભણેલાં શ્રી રાજુભાઈ પટોળીયાએ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અવિરત પ્રયાસો કર્યા, ખેડૂતોની મુલાકાત સમયે તેમને જાણવા મળેલા પ્રશ્નોમાં ગાયના નિભાવનો પ્રશ્ન પણ હતો. જેને ધ્યાને લઈને રાજુભાઈએ પોતાના ખેતર “પોષણ પ્રાકૃતિક ફાર્મ” ખાતે ગૌમુત્ર બેંક બનાવી.આ બેંકમાં આસપાસના ખેડૂતો ૧૦ રૂપિયા પ્રતિ લીટર પોતાની ગાયનું ગૌમુત્ર વેચી શકે છે. આ પ્રકારે મળતી નાની સહાય પણ ગાયના નિભાવમાં મદદરૂપ બની રહી છે.

રાજુભાઈએ જણાવ્યું હતું કે, ૨૦૧૧ થી પ્રાકૃતિક ખેતી કરતા અમે ૨૦૨૪માં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગૌ -પ્રાકૃતિક સમૂહ બનાવ્યો. તેમાં અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સતત શિબીરો કરી જોડવાના પ્રયાસો કર્યા, સાથે જ ખેડૂતોને મદદરૂપ થવા માટે ગૌમૂત્ર બેંક ચાલુ કરી.આ ગૌમૂત્ર બેંકમાં ગૌમુત્રની ખરીદી કરી તેનાથી પંચગવ્યના વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. ખેતર ખાતે ખાસ કરવામાં આવેલી વ્યવસ્થામાં બોઇલરમાં ગૌમૂત્ર અને વનસ્પતિના પાનના મિશ્રણને ઉકાળી નિસ્યંદન પ્રક્રિયા દ્વારા પ્રાકૃતિક અર્ક બનાવવામાં આવે છે.આ અર્ક પ્રાકૃતિક દવા સ્વરૂપે ખેડૂતો કે કિચન ગાર્ડન કરતાં કોઈપણ પ્રાકૃતિક ખેતી પ્રેમી લોકોને વેચવામાં આવે છે. આમ, ગૌમૂત્ર ખરીદી દ્વારા તો ખેડૂતોને મદદરૂપ થવામાં આવી જ રહ્યું છે સાથે જ આ પ્રાકૃતિક દવાઓ તૈયાર કરી ખેડૂતોને આપવાથી નાના અને અતિ વ્યસ્ત ખેડૂતોનો સમય બચે છે.

આ દવા અને અર્ક વિશે વધુ ઉમેરતાં રાજુભાઈએ કહ્યું હતું કે, ગૌમુત્ર ઉપરાંત પાણી અને ગોળની નિયત માત્રા સાથે લીંબુ, કેસુડાના ફૂલ, બિલી વગેરેના જૈવ રસાયણ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં પોષણ અર્ક, કુચલા અર્ક, નીમસ્ત્ર, પુષ્પ રસાયણ જેવા પાંચ પ્રકારના જૈવ રસાયણોનો ખેતીમાં ફુલ આવવા સમયે કે પાન પીળા પડી જવાના સમયે ખેડૂતો સ્પ્રે કરીને કે જમીનમાં પિયતમાં આપીને સારું પરિણામ મેળવી શકે છે. તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે, અન્નદાતાઓ એવા ખેડૂતો લોકોને પ્રાકૃતિક ઉત્પાદનો ખવડાવવા માટે પ્રતિબધ્ધ છે જેનો લાભ ખાનાર પરિવારોએ લઈ પોતાના બાળકોને એટલે કે આવનારા ભવિષ્યને મજબૂત કરવા જોઈએ.

અનોખી પહેલ સાથે પ્રાકૃતિક ખેતીમાં સહાયક બનતી આ ગૌમૂત્ર બેંકથી આજે જેતપુર તાલુકાના અનેક ગામના ખેડૂતોને ગૌનિભાવમાં સહાય સાથે માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીને વેગ મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!