જૂનાગઢ જિલ્લાના શિક્ષક તુષારભાઈ પંડ્યાને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૬’ એનાયત
જૂનાગઢ જિલ્લાના શિક્ષક તુષારભાઈ પંડ્યાને 'સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૬' એનાયત

સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬અંતર્ગત યોજાયેલા શિક્ષણવિદોના રાજયકક્ષાના શૈક્ષણિક પરિસંવાદમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી એક શિક્ષકની પસંદગી કરી તેમાંને ‘સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૬’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સન્માન માટે જૂનાગઢ જિલ્લામાં મંડલિકપુર પ્રાથમિક શાળા, તા. જૂનાગઢના શિક્ષક શ્રી તુષારભાઈ અશોકભાઈ પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. તુષારભાઈ દ્વારા તેમની શાળામાં વિવિધ પ્રવૃતિઓમાં ઇનોવેટીવ વિજ્ઞાન પ્રોજેક્ટ્સ અને આકાશ દર્શન મુખ્ય છે. જેમાં તેઓ સમગ્ર જૂનાગઢની મહત્તમ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આકાશ-દર્શનથી વિશેષ જ્ઞાન આપેલ છે. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ભાવપૂર્વક એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યકમમાં પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પદ્મશ્રી પ્રો. અનિલ ગુપ્તા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના ટી.એસ, જોષી, ડો. વિજયભાઈ સેવક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદ દરમિયાન ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શિક્ષકોને સમાજના સાચા ઘડવૈયા ગણાવી વિધાર્થીઓમાં શીખવાની જિજ્ઞાસા અને મૂલ્યનિષ્ઠ શિક્ષણના સંસ્કારો વિકસાવવાની પ્રેરણા આપી હતી. પ્રો. અનિલ ગુપ્તાએ બાળકોમાં સર્જનાત્મકતા, નવીન વિચારસરણી અને પ્રશ્નો દ્વારા શીખવાની વૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો, જ્યારે પદ્મશ્રી રતિલાલ બોરીસાગરે શિક્ષકના ગૌરવ અને જવાબદારી અંગે પ્રેરણાદાયી ઉદબોધન કર્યુ હતું.શ્રી તુષારભાઈ અશોકભાઈ પંડ્યાને પ્રાપ્ત થયેલું આ રાજયકક્ષાનું પ્રતિષ્ઠિત સન્માન જૂનાગઢ જિલ્લાના શિક્ષણજગત માટે ગૌરવની બાબત બની છે. તેમના આ સન્માન બદલ શિક્ષણજગત, સહકર્મીઓ અને શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





