જૂનાગઢ ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ ખાતે અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. અધિક નિવાસી કલેક્ટર સુશ્રી બી.એસ.બારડના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોના પ્રશ્નો અને રજૂઆતો પ્રસ્તુત કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી દેવાભાઈ માલમ અને શ્રી અરવિંદભાઈ લાડાણીએ વિવિધ જન પ્રશ્નો અને વિભાગના પ્રશ્નોની ચર્ચા વિચારણા વિસ્તૃતપણે કરી હતી. આ ઉપરાંત આગામી રાષ્ટ્રીય જન ગણના કાર્યક્રમની કામગીરી સુચારુ રીતે અમલી બને એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જૂનાગઢ જિલ્લાના વંથલી અને માણાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં રોડ રસ્તાના કામ, ગંદા પાણીના નિકાલના પ્રશ્નો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની સેવાઓ, ખેડૂતોની રજૂઆતો, જન્મ મરણના દાખલા, પાણી વિતરણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાં અનેકવિધ ઐતિહાસિક ધાર્મિક અને પુરાતત્વ વિભાગની સાઇટ્સ આવેલી છે. આગામી સમયમાં જૂનાગઢને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કઈ રીતે બનાવી શકાઈ તે અંગે સુચારૂ અને સુદ્રઢ આયોજન અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ બંધ પડેલી ઇમારતો અને ખાલી જગ્યાઓ પર કોઈ ગેરપ્રવૃતિ ન થાય, તેને રોકવા માટે અને સુરક્ષાના પાસાની ચર્ચા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂત સહકારી મંડળીઓના પ્રશ્નો અને તેઓને ધિરાણમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુચારૂ સુવ્યવસ્થા ગોઠવવા અંગે સુશ્રી બી.એસ.બારડ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખતા સમગ્ર જૂનાગઢમાં રોડ રસ્તાના કામ તાત્કાલિક રીતે પૂર્ણ કરવા માટે તેઓશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા ગ્રામીણ વિકાસ સમિતિના નિયામક શ્રી પી.એ.જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કિશન ગળચર, વિવિધ વિભાગના અધિકારીગણ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંકલન સમિતિના તમામ સદસ્યો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





