BANASKANTHAGUJARATPALANPUR

શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ: આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ

26 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં કરાવ્યો પ્રવેશ
નરેન્દ્રભાઈ મોદીના શાળા પ્રવેશોત્સવના અભિગમથી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું:-અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સરકારી શાળામાં અભ્યાસ કરીને અનેક ગરીબ ઘરના દીકરા-દીકરીઓએ આજે સમાજમાં મેળવ્યું મોભાનું સ્થાન:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાના સીમાવર્તી વિસ્તાર થરાદ તાલુકાના બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. અધ્યક્ષશ્રી શંકરભાઈએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી. રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ “શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ” ની આ ૨૩મી કડીનો આજથી પ્રારંભ થયો છે.
બેવટા ખાતેથી અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ૨૦૦૨-૦૩માં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના અભિગમથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો અને આ શાળા પ્રવેશોત્સવથી છેવાડાના ગામડાઓથી લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે. રાજ્યના મંત્રીશ્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે. વર્ષો પહેલા દીકરીઓ અધ વચ્ચેથી અભ્યાસ છોડી મૂકતી હતી તે દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પૂરું પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે. અધ્યક્ષશ્રી ચૌધરીએ જણાવ્યું કે, રાજ્ય સરકારએ શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું છે. આજે ગરીબ ઘરના દીકરા – દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને સરકારી સેવાઓમાં જોડાયા છે જેનાથી તેમના પરિવારને પણ સમાજમાં મોભાનું સ્થાન મળ્યું છે. તેમણે કહ્યું કે, વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ તથા યોગ, પ્રાણાયમ, ધ્યાન લગાવવું જોઈએ. તેમણે વાલીઓને ટકોર કરતા જણાવ્યું કે, વિધાર્થીઓને મોબાઇલની જગ્યાએ હૂંફ અને ભણવા માટે પ્રેરિત કરવા જોઈએ. કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ ૧ અને ૯માં કુલ મળીને ૧.૬૫ લાખથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ૧૪ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના વર્ગ ૧ અને ૨ના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે.
આ શાળા પ્રવેશોત્સવમાં થરાદ પ્રાંત અધિકારીશ્રી તુષાર જાની, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષણગણ, સરપંચશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!