AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારામાં ૮ ઓગસ્ટથી ગુંજશે ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૬’, મુખ્યમંત્રીના હસ્તે થશે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ચોમાસાની હરિયાળી અને કુદરતી સૌંદર્ય વચ્ચે દર વર્ષે ઉજવાતો લોકપ્રિય ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૬’ આગામી ૮ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાત સરકારના પ્રવાસન વિકાસ નિગમ દ્વારા આયોજિત આ મોન્સૂન ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારંભ સંભવિત રીતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાશે.

આ ભવ્ય કાર્યક્રમના સફળ આયોજનને લઈને ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓને કાર્યક્રમની જવાબદારીઓ સોંપી આયોજનને સુચારૂ અને સફળ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

કલેક્ટરે હેલીપેડની તૈયારી, કાર્યક્રમ સ્થળે વિશાળ ડોમ, મંચ અને બેઠક વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા, વાહન પાર્કિંગ, ટ્રાફિક નિયંત્રણ, મહાનુભાવો માટેની સુવિધાઓ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, સફાઈ-સેનિટેશન તેમજ આંતરિક માર્ગોના સમારકામ સહિતની કામગીરી સમયસર પૂર્ણ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા ગુજરાત પ્રવાસન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર ડો. વિપિન ગર્ગે પણ ઓનલાઈન બેઠક યોજી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર ડો. મયુર પરમાર, પ્રાંત અધિકારી યુ.વી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચોમાસાની મોસમમાં સાપુતારાના મનોહર નજારાઓ વચ્ચે યોજાનાર આ મેઘ મલ્હાર પર્વ રાજ્યભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, સાથે સ્થાનિક કલાકારો, હસ્તકલાકારો અને વેપારીઓને રોજગારી તથા પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળશે

Back to top button
error: Content is protected !!