
વિજાપુરમાં 51,265 બાળકોને કૃમિનાશક ગોળી અપાઈ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી 17મીએ બાકી બાળકોને ફરી ડોઝ અપાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત વિજાપુર તાલુકાની આંગણવાડી, પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં 1થી 19 વર્ષના કુલ 51,265 બાળકોને કૃમિનાશક ગોળીનો ડોઝ આપવામાં આવ્યો હતો.
જિલ્લા આરોગ્ય શાખા મહેસાણાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ અને આર.સી.એચ.ઓ. ડો. વિજય જે. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા અભિયાનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ સહિત આરોગ્ય કર્મચારીઓએ વિવિધ શાળાઓની મુલાકાત લઈ બાળકોને કૃમિથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બાળકોને હાથ ધોવા, નિયમિત સ્નાન કરવા, નખ કાપવા, વાળની સ્વચ્છતા જાળવવા અને પગરખાં પહેરવાની ટેવ પાડવા સમજાવવામાં આવ્યું હતું. પગરખાં ન પહેરવાથી જમીનમાં રહેલા કૃમિના લાર્વા પગના તળિયા મારફતે શરીરમાં પ્રવેશી આંતરડામાં વિકાસ કરી શકે છે, જેના કારણે પેટમાં દુખાવો, નબળાઈ અને શરીર ફિક્કું પડવા જેવી તકલીફો થઈ શકે છે.
અભિયાનમાં એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ., આશા બહેનો અને સી.એચ.ઓ. દ્વારા બાળકોને ગોળી આપવામાં આવી હતી. મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર તથા હેલ્થ સુપરવાઈઝરો દ્વારા આરોગ્ય શિક્ષણ અને દેખરેખ રાખવામાં આવી હતી.
અભિયાન દરમિયાન ગોળી લેવાનું બાકી રહી ગયેલા બાળકોને તા. 17 ઓગસ્ટે કૃમિનાશક ગોળીનો ડોઝ આપવામાં આવશે.





