
રણાસણ ગામે હરિયાળી તરફ ઐતિહાસિક પગલું
વિજાપુર-ગાંધીનગર હાઇવે નજીક ગૌચર જમીન પર ‘વન કવચ’ અંતર્ગત 10 હજાર વૃક્ષારોપણનો પ્રારંભ; 80 જાતના વૃક્ષોનું વાવેતર

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
“વૃક્ષ માત્ર એક છોડ નથી, પરંતુ જીવનનો આધાર છે. આજે વાવેલું એક વૃક્ષ આવતીકાલે શુદ્ધ હવા, પાણી, છાંયો અને સુરક્ષિત ભવિષ્યનો આધાર બનશે. તેથી માત્ર વૃક્ષ વાવવાનો નહીં, પરંતુ તેનું જતન કરવાનો પણ સંકલ્પ કરીએ.” આ સંદેશ સાથે વિજાપુર તાલુકાના રણાસણ ગામે ગામના ઇતિહાસમાં પ્રથમ વખત 10 હજાર વૃક્ષોના મહા વૃક્ષારોપણ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
વિજાપુર-ગાંધીનગર હાઇવે પર આવેલી શાળાની બાજુમાં આવેલી ગૌચર જમીન પર ‘વન કવચ’ અંતર્ગત આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન હેઠળ કુલ 80 જેટલી વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ માત્ર વૃક્ષો વાવવા પૂરતું નહીં, પરંતુ દરેક રોપાનું નિયમિત જતન અને સંવર્ધન કરીને તેને વિકસિત કરવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય જીગ્નેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ જીલ્લા મંત્રી રાજુ ભાઈ પટેલ, ગામના સરપંચ દીપકભાઈ પટેલ, વન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી રણાસણના નિર્માણ માટે શરૂ કરાયેલું આ અભિયાન તાલુકામાં એક પ્રેરણાદાયી પહેલ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી


