
અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ વિજાપુર અને જાયન્ટ્સ સહિયર ગ્રૂપના સહયોગ થી“શ્રી ઉત્સવ” એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ તથા તેરાપંથ મહિલા મંડળ, અને જાયન્ટ્સ વિજાપુર સહિયર ગ્રૂપના સહયોગ થી મહિલા સશક્તિકરણ, સ્વાવલંબન અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી “શ્રી ઉત્સવ” એક્ઝિબિશનનું ભવ્ય આયોજનના રોટરી ક્લબ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે મહિલાઓની સર્જનાત્મકતા, કાર્યકુશળતા અને આત્મવિશ્વાસની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓને પોતાના કૌશલ્યને ઓળખ અપાવવા અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી સાબિત થાય છે.
“શ્રી ઉત્સવ” અંતર્ગત મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની કૃતિઓ, ઘરગથ્થુ ઉપયોગી ચીજવસ્તુઓ, પરંપરાગત અને આધુનિક વસ્ત્રો, આર્ટ એન્ડ ક્રાફ્ટ, જ્વેલરી, ગિફ્ટ આઈટમ્સ, ફૂડ પ્રોડક્ટ્સ તેમજ વિવિધ સ્વરોજગારી ઉત્પાદનોના આકર્ષક સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. મુલાકાતીઓએ સ્ટોલોની મુલાકાત લઈ મહિલાઓના કૌશલ્ય અને મહેનતને બિરદાવી તેમની પાસેથી ખરીદી કરી ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, રોટરી ક્લબ ના પ્રમુખ સંગીતા બેન પટેલ અને ઉષા બેન પટેલ તેમજ શહેરના અગ્રણી આગેવાનો, સામાજિક કાર્યકરો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ મહિલાઓના સર્જનાત્મક કાર્યની પ્રશંસા કરી હતી.
આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપવાનો, તેમના ઉત્પાદનોને વ્યાપક ઓળખ અપાવવાનો અને સમાજમાં મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.


મહિલાઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને ઉજાગર કરતો “શ્રી ઉત્સવ” મહિલા સશક્તિકરણની દિશામાં એક યાદગાર અને પ્રેરણાદાયી કાર્યક્રમ તરીકે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.




