
કમોસમી વરસાદથી નુકસાન વિજાપુર પંથકમાં ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા પાકનું નિરીક્ષણ અને સર્વેની સૂચના
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ખેડૂતોની આ સ્થિતિને ધ્યાનમાં લઈને વિજાપુરના સ્થાનિક ધારાસભ્ય સી.જે. ચાવડાએ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેતરોમાં જઈને પાકને થયેલા નુકસાનનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતો સાથે વાતચીત કરીને તેમણે તેમની વ્યથા સાંભળી હતી. ધારાસભ્ય સીજે ચાવડા એ આ નુકસાન મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સર્વેક્ષણ કરનાર અધિકારીઓ અને ગ્રામ સેવકોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને સાથે રાખીને નુકસાનનો સર્વે કરતી વખતે ખેડૂતોને ફરજિયાતપણે સાથે રાખવા યોગ્ય અને સચોટ સર્વે કોઈપણ પ્રકારની ક્ષતિ કે અન્યાય વગર ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનનો જ સર્વે કરવામાં આવે તાત્કાલિક રિપોર્ટ તૈયાર કરી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવે, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને નિયમોનુસાર વળતર મળી શકે.ધારાસભ્યના આ નિરીક્ષણ અને સૂચનાથી કમોસમી વરસાદના મારથી પીડિત ખેડૂતોને સમયસર સહાય મળવાની આશા જાગી છે.



