MEHSANAVIJAPUR

મહેસાણામાં મિશન કે-3 ટ્રસ્ટનો રોજગાર અને નાણાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

38 યુવક-યુવતીઓની રોજગાર માટે પસંદગી, કારકિર્દી માર્ગદર્શન સાથે ફાઇનાન્શિયલ અવેરનેસ પર ભાર

મહેસાણામાં મિશન કે-3 ટ્રસ્ટનો રોજગાર અને નાણાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
38 યુવક-યુવતીઓની રોજગાર માટે પસંદગી, કારકિર્દી માર્ગદર્શન સાથે ફાઇનાન્શિયલ અવેરનેસ પર ભાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા શહેરના બાયપાસ હાઈવે સ્થિત રામરત્ન હોટલના એસી હોલ ખાતે મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ રોજગાર, કારકિર્દી માર્ગદર્શન અને નાણાકીય જાગૃતિ અંગે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મહેસાણા ગુરુ બ્રાહ્મણ સમાજના યુવાનો, વડીલો, ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
સમાજના બેરોજગાર યુવક-યુવતીઓને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા અને સ્વાવલંબન તરફ પ્રેરિત કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ કારકિર્દી નિર્માણ, ઇન્ટરવ્યૂ તૈયારી, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર અને નવી રોજગાર તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું.કાર્યક્રમ દરમિયાન રોજગાર ઇચ્છુક ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ એન્ડ ટી, હીરો હોન્ડા, ધ્રુવ એન્ટરપ્રાઇઝ અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓએ સહકાર આપ્યો હતો. ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવારોમાંથી અંદાજે 38 યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સમાજને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવા માટે નાણાકીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બચત, રોકાણ, વીમા, ભવિષ્ય આયોજન, આર્થિક શિસ્ત અને સંપત્તિ નિર્માણ જેવા વિષયો અંગે નિષ્ણાતોએ સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.
બપોરના ભોજન બાદ યોજાયેલા ખુલ્લા ચર્ચાસત્રમાં યુવાનો અને સમાજજનો દ્વારા રોજગાર, શિક્ષણ અને સમાજ વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન અનેક રચનાત્મક સૂચનો સામે આવ્યા હતા, જેના કારણે ઉપસ્થિતોમાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો.
મિશન કે-3 ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હસિત શ્રીમાળી, ટ્રસ્ટીઓ, કાર્યકરો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. કાર્યક્રમના સૌજન્યકર્તા જિગ્નેશ નટવરલાલ પંડ્યાએ સહયોગી સંસ્થાઓ, મહેમાનો, સ્વયંસેવકો અને સમાજજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે યુવાનોના વિકાસ, રોજગાર સર્જન અને નાણાકીય સશક્તિકરણ માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજાશે. સાથે જ આ અભિયાનને મહેસાણાથી આગળ વધારી ગુજરાતના તમામ 34 જિલ્લાઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સમાજની એકતા, પ્રગતિ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે યોજાયેલ આ કાર્યક્રમને ઉપસ્થિત સમાજજનો દ્વારા પ્રેરણાદાયી અને સફળ પહેલ તરીકે બિરદાવવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!