MEHSANAVIJAPUR

મહેસાણામાં આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ: ઝંડા ઉતારવા મુદ્દે ભાજપ અને વહીવટી તંત્ર વિરુદ્ધ પ્રદર્શન

મહેસાણામાં આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ: ઝંડા ઉતારવા મુદ્દે ભાજપ અને વહીવટી તંત્ર વિરુદ્ધ પ્રદર્શન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા શહેરમાં રાજકીય માહોલ તંગ બન્યો છે.આપ પાર્ટી ના ઝંડા અને બેનરો વહીવટી તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવતા પક્ષના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ મુદ્દે આજે આપ દ્વારા શહેરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યો હતો.પ્રદર્શન દરમિયાન આપના જિલ્લા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભાજપ અને જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના કમિશનર વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે અધિક જિલ્લા કલેક્ટર જે.કે. જેગોડાને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા ખાતે પણ રેલી કાઢી નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાને લેખિત અને મૌખિક રજૂઆત કરીને સાંજ સુધીમાં યોગ્ય જવાબ આપવાની અલ્ટીમેટમ આપવામાં આવી હતી.
આપના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો કે વહીવટી તંત્ર પક્ષપાતી વલણ અપનાવી રહ્યું છે અને માત્ર શાસક પક્ષના દબાણ હેઠળ કામગીરી કરી રહ્યું છે. તેમના મુજબ જો કાયદા મુજબ આપના ઝંડા અને બેનરો દૂર કરવામાં આવે છે, તો ભાજપ અને કોંગ્રેસના પ્રચાર સામગ્રી સામે સમાન કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા અને ઉમેદવાર રાધાબેન પટેલે જણાવ્યું હતું કે ભાજપ આપની વધતી લોકપ્રિયતા થી ગભરાઈ ગયો છે અને તે કારણે જ આવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે કલેક્ટર અને કમિશનરને નિષ્પક્ષ રીતે ફરજ બજાવવાની અપીલ કરી હતી.
વિરોધ પ્રદર્શન બાદ આપના નેતાઓએ કલેક્ટર અને કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી આ મુદ્દે ઉચ્‍ચ કક્ષાએ લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!