Rajkot: રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગ વેચવા માગતા ખેડૂતોને ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવા અનુરોધ

તા.૩૦/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે તથા તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે. આ માટે ઓનલાઈન નોંધણી ૧૪મી જૂનથી શરૂ થઈ ગઈ છે.
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી સુશ્રી તૃપ્તિબહેન પટેલે એક યાદીમાં જણાવ્યું છે કે, ટેકાના ભાવે મગ વેચવા માગતા ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તથા તાલુકા કક્ષાએ એ.પી.એમ.સી. ખાતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. હાલ ઉનાળુ મગ પાકના ટેકાનો ભાવ રૂ.૮૫૫૮ પ્રતિ ક્વિન્ટલ છે. જેનો રાજ્યના ખેડૂતોને લાભ લેવા અનુરોધ કરાયો છે.


