MORBI:મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત




MORBI:મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત

હવે જમીન સંપાદન અને સર્વેક્ષણની કામગીરી માટે જિલ્લા કક્ષાએ જવાની જરૂર નથી; પ્રજાને ઘરઆંગણે મળશે ત્વરિત અને આયોજનબદ્ધ સેવાઓ
મહેસૂલ વિભાગના ઠરાવ અન્વયે મોરબી શહેર-ગ્રામ્ય, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયા (મી.) ખાતે કચેરીઓ શરૂ થઈ
મોરબી જિલ્લાના નાગરિકો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને લોકાભિમુખ બનાવવાના આશયથી જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના ઠરાવ તેમજ સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકના આદેશાનુસાર, અગાઉ જિલ્લા કક્ષાએ કાર્યરત ‘જિલ્લા નિરીક્ષક જમીન દફતર’ (DILR) વર્ગ-૨ ની કામગીરીને હવે સ્થાનિક સ્તરે લઈ જવામાં આવી છે. તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી અને આયોજનબદ્ધ નિરાકરણ લાવવા માટે મોરબી જિલ્લામાં નવી ૬ તાલુકા કક્ષાની ‘જમીન દફતર નિરીક્ષક’ (ILR) વર્ગ-૨ ની કચેરીઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ નવતર વ્યવસ્થાથી જિલ્લાના અરજદારોને પોતાના સરકારી કામો માટે જિલ્લા મથકે ધક્કા ખાવા નહીં પડે અને તેમના રહેઠાણની નજીક જ ત્વરિત સરકારી સેવાઓ ઉપલબ્ધ બનશે.
નવી કાર્યરત થયેલી આ તમામ ૬ કચેરીઓ અંતર્ગત (૧).જમીન દફતર નિરીક્ષક, મોરબી (શહેર) ની કચેરી ‘સીટી સર્વે કચેરી, તાલુકા સેવા સદન, લાલબાગ, રૂમ નં. ૧૪૨ થી ૧૪૫, મોરબી-૨’ ખાતે કાર્યરત કરાઈ છે. (૨).જમીન દફતર નિરીક્ષક, મોરબી (ગ્રામ્ય) ની કચેરી ‘ડી.આઈ.એલ.આર. કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં. ૨૦૨ થી ૨૦૯, કલેક્ટર કચેરી, સો-ઓરડી વિસ્તાર, મોરબી-૨’ ખાતેથી સેવાઓ આપશે. (૩).ટંકારા તાલુકાના નાગરિકો માટે જમીન દફતર નિરીક્ષકની કચેરી ‘ગ્રામ પંચાયત કચેરી (મંત્રી ક્વાર્ટર વાળુ મકાન), શાક માર્કેટ પાસે, રાજબાઈ ચોક, ટંકારા’ ખાતે શરૂ કરવામાં આવી છે.
આ જ રીતે (૪). વાંકાનેર તાલુકા માટેની કચેરી ‘સીટી સર્વે કચેરી-વાંકાનેર તથા સબ ટ્રેઝરી વાંકાનેર, દાણાપીઠ ચોક, જૂની જેલ, વાંકાનેર’ ના સરનામે કાર્યરત થઈ છે. (૫). હળવદ વિસ્તારના અરજદારો માટે જમીન દફતર નિરીક્ષકની કચેરી ‘જૂની સરકારી હોસ્પિટલ, આંબેડકર સર્કલ પાસે, હળવદ’ ખાતે કાર્યરત કરવામાં આવી છે. જ્યારે (૬) માળિયા (મી.) તાલુકાની કચેરી ‘પશુ દવાખાનું, માળીયા (મી.)’ ના પરિસરમાંથી નાગરિકોને પોતાની સેવાઓ આપશે.
મોરબી જિલ્લાના તમામ જમીનધારકો, ખેડૂતો અને જાહેર જનતાને જમીન દફતરને લગતી કામગીરી માટે પોતાના સંબંધિત તાલુકાની આ નવી કચેરીઓનો જ સંપર્ક સાધવા મોરબીના સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડ્ઝશ્રી મયુર કરમટાની યાદીમાં જણાવાયું છે.




