જાહેર સુરક્ષાને લઈ નવસારી જિલ્લામા ૦૭મીએ સાંજે ૪ થી ૮ વાગ્યાં સુધી ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રિલ યોજાશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન અભ્યાસ’ મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા.૦૭-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૦૪ વાગ્યાં થી ૦૮ વાગ્યાં સુધી કરાયું છે.
આ સાથે, તૈયારી સ્વરૂપે, સાંજે ૦૭:૩૦ થી ૦૮ વાગ્યાં દરમ્યાન હવાઈ હુમલો (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડ્રિલ યોજાશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં નાગરિકોને નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.



