GANDHINAGAR રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

GANDHINAGAR રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
નવી મહાનગરપાલિકાઓની હદમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝીશન ફેઈઝને ધ્યાનમાં લઇને નાગરિક સુખાકારીના 11 મહત્વના પ્રોજેક્ટ માટે પાંચ વર્ષ સુધી જમીન વિનામૂલ્યે ફાળવાશે
મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ અને સુરેન્દ્રનગર તથા પોરબંદર મહાનગરપાલિકાને મળશે લાભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓને આવા લાભ આપવાના અગાઉ કરેલા નિર્ણયમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી રચાયેલી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.
આ મહાનગરપાલિકાઓ અગાઉની “અ”વર્ગની નગરપાલિકાઓમાંથી નવી મહાનગરપાલિકા બનેલી છે અને તેનો હાલ ટ્રાન્ઝિશન ફેઈઝ ચાલે છે. એટલું જ નહીં, નવી મહાનગરપાલિકાઓની હદમાં પણ મોટો વિસ્તાર ઉમેરાયો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ નવી મહાનગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસ કામો ઝડપથી થઈ શકે તે હેતુસર જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુખાકારી માટે જે 11 મહત્વના જાહેર પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે જમીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે તેમાં નગર સેવા સદન (કચેરી મકાન), ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પંપિંગ સ્ટેશન, વૉટર સપ્લાય પ્રોજેક્ટ (પાણી પુરવઠાના કામો), સૉલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી (વરસાદી પાણીના નિકાલ માટે), બાલવાડી (આંગણવાડી) તેમજ ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીના આ દુરોગામી નિર્ણયને પરિણામે નવી મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં ફાયર સ્ટેશન, એસ.ટી.પી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને જાહેર બાગ બગીચા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝનું ત્વરાએ નિર્માણ થઈ શકશે તથા શહેરી વિકાસ કામોમાં પણ નવી ગતિ આવશે.









