MORBI:મોરબી જિલ્લામાં ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ-2026’ ઉત્સાહભેર સંપન્ન: ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો




MORBI:મોરબી જિલ્લામાં ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ-2026’ ઉત્સાહભેર સંપન્ન: ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો

મોરબી જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળકોને શાળા તરફ આકર્ષિત કરવાના હેતુથી ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ-2026’ અંતર્ગત તારીખ 23, 24 અને 25 જૂન દરમિયાન વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓએ રૂબરૂ ઉપસ્થિત રહીને નવપ્રવેશી ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ મહોત્સવ દરમિયાન અધિકારીઓ દ્વારા મોરબી અને વાંકાનેર પંથકની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી:
પ્રથમ દિવસ: પલાસ, લુણસર અને ભેરડા પ્રાથમિક શાળા.
બીજો દિવસ: વીડી જાંબુડીયા, સમથેરવા અને પીએમ શ્રી વરડુસર શાળા.
ત્રીજો દિવસ: ઓળ, ભીમગુડા અને માટેલ પ્રાથમિક શાળા.
આ ઉપરાંત, માટેલ ખાતે આવેલી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાની પણ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ગાંધીનગરના હોમ અન્ડર સેક્રેટરી કૌશલકુમાર આર. બારોટ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (RTO) ટી.બી. મકવાણા તથા વાંકાનેરના મામલતદાર કે.બી. સાનીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-9માં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને ભેટ આપી આવકાર્યા હતા.
પ્રવેશોત્સવની સાથે-સાથે અધિકારીઓએ તમામ શાળાઓના વર્ગખંડોની મુલાકાત લીધી હતી અને શૈક્ષણિક કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, બાળકોને અપાતા મધ્યાહન ભોજન યોજનાની ગુણવત્તાની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો અને ગ્રામજનો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં શાળામાં પડતી મુશ્કેલીઓ અને શિક્ષકોની ઘટ સહિતના સ્થાનિક પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.: હોમ અન્ડર સેક્રેટરી કૌશલકુમાર આર. બારોટે આ તમામ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે મોરબીના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ રજૂઆત કરી જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.શિક્ષણ પ્રત્યેનો પોતાનો સ્નેહ દર્શાવતા અન્ડર સેક્રેટરી કૌશલકુમાર આર. બારોટે લુણસર પ્રાથમિક શાળાના ઉત્કૃષ્ટ વિકાસ અને સુવિધાઓ માટે પોતાની વ્યક્તિગત મૂડીમાંથી ₹5,000નું રોકડ દાન અર્પણ કર્યું હતું.ત્રણ દિવસ સુધી ચાલેલા આ સમગ્ર મહાઅભિયાનને સફળ બનાવવા માટે કૌશલકુમાર બારોટના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમે જહેમત ઉઠાવી હતી. જેમાં ટીમ વાઘેલા ભાવેશભાઈ, લુણસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ, જામસર CRC રૂપાલા મેહુલભાઈ, અને ખાનપર પ્રાથમિક શાળાના બાવરવા નરેન્દ્રભાઈ સહિતના સભ્યોએ પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.



