રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ફરી એકવાર શાબ્દિક પ્રહાર કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના’એન્યુઅલ લીગલ કૉન્કલેવ’ને સંબોધતા કહ્યું કે દેશમાં ચૂંટણી પંચનું અસ્તિત્ત્વ જ નથી રહ્યું. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, હું તાજેતરની ઇલેક્શન સિસ્ટમ વિશે બોલી રહ્યો છું. મને હંમેશા શંકા હતી કે 2014થી જ તેમાં કંઇક ખોટું છે. મને ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ અંગે પણ શંકા હતી. એક જ પક્ષના જંગી વિજયનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત (લોકસભા ચૂંટણી)માં એક પણ બેઠક મળતી નથી, આ મારા માટે આશ્ચર્યની વાત હતી. જ્યારે પણ અમે બોલતા હતા તો આ લોકો કહેતા હતા પુરાવા ક્યાં છે? પછી મહારાષ્ટ્રમાં કંઇક થયું. લોકસભા ચૂંટણીમાં અમે જીતી ગયા અને પછી ચાર મહિના બાદ અમે માત્ર હાર્યા જ નહીં પણ પુરી રીતે ખતમ થઇ ગયા. ત્રણેય મજબૂત પાર્ટી અચાનક ગાયબ થઇ ગઇ.’
રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે ચૂંટણીઓમાં થયેલી ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી. અમને મહારાષ્ટ્રમાં જાણવા મળ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે એક કરોડ નવા મતદારો સામે આવે છે જેમાંથી મોટાભાગના મત ભાજપને જાય છે…હવે હું કોઇ શંકા વગર કહું છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે એવા પુરાવા છે જે દર્શાવે છે કે કોઇ ચૂંટણી પંચ નથી.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે ચૂંટણી પંચ મતદાર યાદીની ડિજિટલ નકલો આપતું નથી. આ દસ્તાવેજો સ્કેન કરી શકાતા નથી. ચૂંટણી પંચ એવી નકલો કેમ આપે છે જે સ્કેન કરી શકાતી નથી? રાહુલ ગાંધીએ મોટો આરોપ લગાવતા કહ્યું કે એક લોકસભા મતવિસ્તારમાં, અમે મતદાર યાદી તપાસી અને જોયું કે 6.5 લાખ મતદારોમાંથી 1.5 લાખ મતદારો ફેક હતા.
રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું, ‘અમે તેને સાબિત કરવા જઇ રહ્યાં છીએ, અમારી પાસે હવે ડેટા છે. અમને પહેલાથી જ શંકા હતી કે લોકસભા ચૂંટણીમાં ગડબડ થઇ શકે છે અને થઇ પણ. ભારતમાં ચૂંટણી પંચ મરી ગયું છે, તેને સાબિત કરવા માટે અમારી પાસે દસ્તાવેજ છે. જો તેમણે 15-20 બેઠક ઓછી મળી હોત તો તે (PM મોદી) વડાપ્રધાન જ ના બનતા.’





