Rajkot: નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત જનમંગલ પક્ષને જિલ્લા ચૂંટણી અધિકારીની કારણદર્શક નોટિસ
તા.૨૧/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જનમંગલ પક્ષને ૨૬મીએ સુનાવણીમાં હજાર રહેવા ફરમાન
Rajkot: ભારતના ચૂંટણી પંચે વર્ષ ૨૦૧૯થી છેલ્લા ૬ વર્ષમાં ચૂંટણી લડ્યા ન હોય અને તેમાંથી ઘણા પક્ષનું અસ્તિત્વ ન હોય તેવા નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષ (Registered Unrecognized Political Patrios)ની યાદી, તેઓને કારણદર્શક નોટીસ આપી, તેમને સાંભળવાની તક આપી, આવા રાજકીય પક્ષની નોંધણી ચાલુ રાખવી કે કેમ? તે અંગે કાર્યવાહી કરવા સૂચના આપી છે.
જે મુજબ જિલ્લા ક્લેક્ટર શ્રી ડો. ઓમપ્રકાશે રાજકોટના જનમંગલ પક્ષને કારણદર્શક નોટિસ મોકલેલ છે. આ સાથે ૨૬મીએ સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. નોટિસ મુજબ જનમંગલ પક્ષની નોંધણી રદ કરવી કે ચાલુ રાખવા બાબતે જનમંગલ પક્ષ જે રજૂઆત કરવા માંગતા હોય, તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે કલેકટર કચેરીમાં કલેકટરની ચેમ્બર ખાતે આગામી તા. ૨૭ ઓગસ્ટને બપોરે ૧૨ કલાકે પક્ષનાં જવાબદાર પ્રતિનિધિએ રજૂઆત કરવા બિનચૂક હાજર રહેવા જણાવાયું છે. જો પક્ષના જવાબદાર પ્રતિનિધિ રૂબરૂ હાજર નહીં રહે તો આ બાબતે જનમંગલ પક્ષે કશું કહેવાનું નથી તેમ માનીને રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની દરખાસ્ત વડી કચેરીએ મોકલી આપવામાં આવશે.
જનમંગલ પક્ષે રૂબરૂ સુનાવણી સમયે પક્ષની નોંધણીના આધારો, પક્ષનું નોંધાયેલુ સરનામું, પક્ષનું હાલનું સરનામું, છેલ્લા ૦૩ નાણાકીય વર્ષમાં મેળવેલા ફાળાની વિગતો, પાછલી ચૂંટણી લડ્યા બદલ રજૂ કરેલો પક્ષનો ખર્ચ રીપોર્ટ, છેલ્લા ૦૩-નાણાકીય વર્ષના ઓડીટ રીપોર્ટ, પક્ષના હાલના હોદ્દેદારોની વિગત (નામ, સરનામું અને સંપર્કની વિગત), પક્ષની નોંધણી થયા બાદ આજ દિવસ સુધી પક્ષના કયા ઉમેદવાર, કયા વર્ષે, કઈ ચૂંટણીમાં અને કઈ બેઠક પરથી ચૂંટણી લડ્યા તેની વિગત રજૂ કરવાની રહેશે, તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડો. ઓમપ્રકાશની યાદીમાં જણાવાયું છે.