MORBI:મોરબી મધુરમ ફાઉન્ડેશન અને પ્રાણજીવન કાલરિયા દ્વારા ‘ઘર-ઘર ડોડી અભિયાન’ અંતર્ગત જીવંતી ડોડીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાયું

MORBI:મોરબી મધુરમ ફાઉન્ડેશન અને પ્રાણજીવન કાલરિયા દ્વારા ‘ઘર-ઘર ડોડી અભિયાન’ અંતર્ગત જીવંતી ડોડીના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરાયું
માત્ર એક જ કલાકમાં ૨૦૦ જેટલા રોપાનું વિતરણ: રોપા લેવા લોકોની ભારે ભીડ જામી
આજ રોજ મધુરમ ફાઉન્ડેશન તથા શ્રી પ્રાણજીવન કાલરિયાના સંયુક્ત ઉપક્રમે દિવ્ય ઔષધીય વનસ્પતિ જીવંતી ડોડીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં જીવંતી ડોડીના રોપા મેળવવા માટે વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભારે ઉત્સાહ વચ્ચે માત્ર એકાદ કલાકના ટૂંકા સમયગાળામાં જ ૨૦૦થી વધુ રોપાનું વિતરણ કરી દેવામાં આવ્યું હતું.
આ સરાહનીય કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. મધૂસુદન પાઠક, કીરીટસિંહ ઝાલા, પનારા સાહેબ, મહેશભાઈ ભોરણીયા, પ્રખ્યાત કથાકાર ડૉ. દિલીપભાઈ પૈજા, જીલેશભાઇ કાલરિયા, લવજીભાઇ બારૈયા, દાજીભાઇ ગોહિલ, મણીભાઈ ગડારા, શિવલાલ ડાંગર તથા શૈલેષભાઈ કાલરિયા ખાસ હાજર રહ્યા હતા.
જીવંતી ડોડીનું આયુર્વેદિક મહત્ત્વ:આયુર્વેદિક ગ્રંથોમાં જીવંતી ડોડીને દિવ્ય વનસ્પતિ અને ઉત્તમ ‘રસાયણ’ તરીકે બિરદાવવામાં આવી છે. તમામ ઔષધીય વનસ્પતિઓમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ જીવંતી ડોડી પ્રથમ ક્રમે આવે છે. રોજ તેના દસ પાનનું સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીરમાં નવી સ્ફૂર્તિ અને ઊર્જાનો સંચાર થાય છે. આયુર્વેદમાં તેને ચક્ષુસ્યા (આંખોનું તેજ વધારનાર), બલ્ય, આયુષ્યવર્ધક, શીતળ અને સર્વદોષહર ગણાવવામાં આવી છે.તે આંખોનું તેજ વધારવા, માતાઓમાં ધાવણ વધારવા, પ્રજનન ક્ષમતા સુધારવા તથા ગર્ભધારણમાં અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત કફ, ઉધરસ, શ્વાસ, ઝામર, રતાંધળાપણું, ગર્ભપાતની સમસ્યા અને વીર્યસ્રાવ જેવા અનેક રોગોમાં તે અકસીર ઇલાજ સાબિત થાય છે.જીવંતી ડોડીના આ બહુવિધ સ્વાસ્થ્યવર્ધક ગુણોને ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી પ્રાણજીવન કાલરિયા દ્વારા દર વર્ષે ઓગસ્ટ મહિનામાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરીને ‘ઘર-ઘર ડોડી અભિયાન’ ચલાવવામાં આવે છે.










