બનાસકાંઠાના આકેસણ ગામ ખાતેથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાયો

3 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠામાં આગામી ત્રણ મહિના સુધી જન સુરક્ષા યોજનાઓના લાભ અંગે લોકોને જાગૃત કરાશે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણ લક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. તા. ૦૧ જુલાઈથી ૩૦ સપ્ટેમ્બર એટલે કે ત્રણ માસ સુધી ચાલનારા આ અભિયાન અન્વયે નાગરિકોના સુરક્ષિત, સુખી અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાના અભિગમ સાથે આ અભિયાનનો પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં લીડ બેંક અને બેંક ઓફ બરોડાના બનાસકાંઠા ક્ષેત્રના પ્રદેશ વ્યવસ્થાપકશ્રી જગદીશ મહેરચંદાનીની અધ્યક્ષતામાં પાલનપુર તાલુકાના આકેસણ ગામ ખાતેથી અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત ગ્રામજનોને જનધન ખાતા, સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, સાઇબર ફ્રોડથી બચાવ અને રી-કેવાયસી અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા લીડ બેંક મેનેજરશ્રી હેમંત ગાંધી, આકેસણ ગામના સરપંચશ્રી કેશરભાઈ ચૌધરી, તલાટી કમ મંત્રીશ્રી મયૂરીબેન મોદી, બેંક ઓફ બરોડા ચડોતર શાખાના મેનેજરશ્રી હરિરામજી, બેંક ઓફ બરોડાના રોચકજી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી સંદીપ મોઢ, ઈન્ડિયન બેંકના કેવિનજી અને સુનિલ વર્માજી, તેમજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના ઇકબાલ પ્રીત સિંહજી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






