SURENDRANAGAR:સુરેન્દ્રનગર શ્રમ આયુક્ત કચેરીની મોટી બેદરકારી, સિલિકોસિસ પીડિતોની સહાય અરજીઓ મોકલવામાં કેમ કરાયો વિલંબ?







SURENDRANAGAR:સુરેન્દ્રનગર શ્રમ આયુક્ત કચેરીની મોટી બેદરકારી, સિલિકોસિસ પીડિતોની સહાય અરજીઓ મોકલવામાં કેમ કરાયો વિલંબ?


સીલીકોસીસ પીડિત સંઘ દ્વારા તા. ૧૮/૦૫/૨૦૨૬ના રોજ મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, સુરેન્દ્રનગર અને જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે સીલીકોસીસ પીડિતોની આર્થિક સહાય, મૃત્યુ સહાય, સારવાર, વ્યવસાય પ્રમાણપત્ર અને પેન્ડિંગ અરજીઓ અંગે રજૂઆત કરવામાં આવી.
રજૂઆતમાં જણાવાયું કે સીલીકોસીસ પીડિતોએ બીજા મહીનામાં આર્થિક સહાય માટે ફોર્મ ભર્યા હતા. આવી અરજીઓ ૧ મહીનામાં ઉપરી કચેરી મોકલવાની હોય છે, પરંતુ મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, સુરેન્દ્રનગર દ્વારા કેટલીક અરજીઓ યોગ્ય સમયે મોકલવાના બદલે લગભગ ૩ મહિના બાદ તા. ૧૪/૦૫/૨૦૨૬ના રોજ આગળ મોકલવામાં આવી હતી. કચેરી તરફથી જણાવાયું કે ઈ.એસ.આઈ. કચેરીમાંથી જવાબ મોડો મળતા કાર્યવાહી મોડેથી થઈ.
મદદનીશ શ્રમ આયુક્ત કચેરી ખાતે મુલાકાત સમયે મુખ્ય અધિકારી રજા પર હતા અને સરકારી શ્રમ અધિકારી ફીલ્ડમાં હોવાથી કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા. કચેરીમાંથી મળેલી માહિતી મુજબ હાલ ૬ અરજીઓ ઈ.એસ.આઈ.ના જવાબના અભાવે બાકી છે. આ ઉપરાંત અન્ય ૪ અરજીઓમાં પણ ₹૧ ની રેવન્યુ ટિકિટ અને સહી બાકી હોવાનું જાણવા મળ્યું.
રજૂઆતમાં પેન્ડિંગ અરજીઓની હાલની સ્થિતિ, અરજી કયા તબક્કે છે અને કયા કારણોસર બાકી છે તેની લેખિત માહિતી આપવા મુદ્દો ઉઠાવવામાં આવ્યો. સાથે જ અરજદારોને વારંવાર કચેરીએ આવવું ન પડે તે માટે અરજીની સ્થિતિ જાણવા સત્તાવાર ટેલિફોન/મોબાઇલ નંબર જાહેર કરવાની બાબત પણ રજૂ કરવામાં આવી.
કચેરીમાં અરજી સ્વીકારવાની પ્રક્રિયા અંગે પણ મુદ્દો રજૂ થયો. અરજદારોને રીસીવ કોપી પર માત્ર સહી નહીં, પરંતુ કચેરીનો સત્તાવાર સ્ટેમ્પ સાથે રીસીવ આપવો જોઈએ અને જરૂરી કાગળોની યાદી એકસાથે લેખિતમાં આપવી જોઈએ, જેથી અરજદારોને વારંવાર ધક્કા ન ખાવા પડે.
વ્યવસાય અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર બાબતે પણ મુશ્કેલી રજૂ કરવામાં આવી. નગરપાલિકા/મહાનગરપાલિકા કચેરીઓમાં અરજદારોને “આવો દાખલો અહીંથી આપવામાં આવતો નથી, લેબર કચેરી જાઓ” એવો જવાબ મળતો હોવાને કારણે સીલીકોસીસ પીડિતો અને તેમના પરિવારજનોની અરજીઓ અટકી રહી છે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆતમાં સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જરૂરી હોવાનું જણાવાયું. આ પ્રશ્નોમાં મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, આરોગ્ય વિભાગ, જિલ્લા હોસ્પિટલ, નગરપાલિકા/સ્થાનિક કચેરીઓ, DISH કચેરી અને ગુજરાત ગ્રામ્ય શ્રમયોગી કલ્યાણ બોર્ડ જેવા વિભાગો સંકળાયેલા છે.
જિલ્લા સીલીકોસીસ કમિટી રચાયેલી છે કે નહીં અને તેની બેઠક અંગે સ્પષ્ટતા જરૂરી હોવાનું રજૂ કરવામાં આવ્યું. સાથે જ જિલ્લા હોસ્પિટલમાં સીલીકોસીસ પીડિતોને વિના મૂલ્યે સારવાર, દવા, તપાસ, ઓક્સિજન/શ્વાસ સંબંધિત સહાય, નિષ્ણાત તબીબી સલાહ અને ફોલોઅપની સુવિધા સુનિશ્ચિત કરવાની બાબત પણ રજૂ થઈ.
સિલિકા ધૂળ ઉત્પન્ન કરતા ઔદ્યોગિક એકમોમાં નિયમિત તપાસ, સિલિકા ધૂળનું માપન, ધૂળ નિયંત્રણ, વેન્ટિલેશન, સુરક્ષા સાધનો અને કામદારોની આરોગ્ય તપાસ અંગે DISH કચેરી દ્વારા કાર્યવાહી થાય તે બાબત પણ કલેક્ટર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવી.
કલેક્ટર કચેરી દ્વારા રજૂઆત સાંભળવામાં આવી અને આવેદન સ્વીકારવામાં આવ્યું. તેમજ સંબંધિત અધિકારીઓની મિટિંગ બોલાવી પ્રશ્નોના ઉકેલ માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું. સીલીકોસીસ પીડિત સંઘ દ્વારા એક મહિના બાદ ફરીથી કલેક્ટર કચેરી ખાતે જઈને થયેલી કાર્યવાહી અંગે માહિતી મેળવવામાં આવશે.
સીલીકોસીસ પીડિતોની સહાય અરજીઓ યોગ્ય સમયમર્યાદામાં આગળ મોકલવાના બદલે મહિના સુધી અટકવી એ માત્ર વહીવટી વિલંબ નથી, પરંતુ જીવલેણ વ્યવસાયજન્ય રોગથી પીડાતા કામદારો અને તેમના પરિવારજનોના જીવન સાથે જોડાયેલ ગંભીર પ્રશ્ન છે.




