Rajkot: ગણેશ મૂર્તિના વિસર્જન માટે જારી કરાયેલા પ્રતિબંધક આદેશો
તા.૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ સ્થળોએ સ્થાપિત ગણપતિજીની મૂર્તિનુ વિસર્જન કરવા અંગે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા કેટલાક પ્રતિબંધક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પર્યાવરણની જાળવણી કરવા, જળસ્ત્રોતોમાં થતું પ્રદૂષણ અટકાવવા, જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ આદેશો જાહેર કરાયા છે, જે મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર ગણેશ વિસર્જન કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવુ નહીં, સક્ષમ સ્થાનિક સત્તામંડળે મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ચિત કરેલ સ્થળ સિવાયની કોઈ પણ જગ્યાએ મૂર્તિ વિસર્જન કરવું નહીં, પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળ સ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી કે કૂવામાં મૂર્તિ વિસર્જન કરવું નહીં, મૂર્તિ વિસર્જન માટે રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરવુ નહીં. ઉપરાંત,વિસર્જન યાત્રા દરમ્યાન રાહદારી કે મિલકતો ઉપર કોઈ રંગ, પાણી કે અન્ય પદાર્થો ફેંકવાની, ધાર્મિક લાગણી દુભાય તેવા સુશોભન, ગીતો, સુત્રોચ્ચાર કે પ્રવચનની મનાઈ કરવામાં આવી છે તેમજ વિસર્જન પૂર્ણ થયા બાદ એક દિવસથી વધુ મંડપ ન રાખવા જણાવાયું છે. સમગ્ર પર્વ દરમ્યાન ધ્વનિ પ્રદુષણ અંગેના જાહેરનામાંને આધીન સ્પીકર તેમજ વાદ્યોનો ઉપયોગ કરવાનો રહેશે.
આ આદેશો તા.૦૭/૦૯/૨૦૨૪થી તા.૧૮/૦૯/૨૦૨૪ સુધી રાજકોટ પોલીસ કામીશ્નરેટનાં નિયંત્રણ હેઠળનાં સમગ્ર વિસ્તારમાં અમલી રહેશે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવેલ હોય તેવી વ્યક્તિને કે સંસ્થાને, સરકારી ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડાને, સ્મશાનયાત્રાને આ આદેશો લાગુ પડશે નહીં.
આ જાહેરનામાં અંતર્ગત ચીફ ફાયર ઓફિસર અને મહાનગરપાલિકા દ્વારા મૂર્તિ વિસર્જનનાં આ મુજબના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આજી ડેમ ઓવરફલો નીચે ચેકડેમ પાસે ખાણ ૧,૨, આજી ડેમ ઓવરફલો નીચે ચેકડેમ, પાળ ગામમાં દરગાહ પાસે મવડી ગામથી આગળ, ન્યારા પાટીયા પાસે ન્યારા રોડ ખાણમાં જામનગર રોડ, વેફર્સ ફેક્ટરી સામે વાગુદળ પાટીયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, ભાવનગર રોડ પર પેટ્રોલ પંપ સામે આજી ડેમ પાસે રવિવારી બજાર વાળું મેદાનનો સમાવેશ થાય છે.