હિમાચલ પ્રદેશના શિમલાના સમરહિલમાં સોમવારે સવારે થયેલા ભૂસ્ખલનને શિવમંદિર કાટમાળ નીચે દટાઈ ગયું હતું. સોમવારે આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આજે મંગળવારે સવારે એનડીઆરએફની ટીમે ફરી બચાવ કામગીરી તેજ કરી છે. મંગળવારે સવારે વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જયારે હજુ ઘણા લોકો લાપતા છે.
મળતી માહિતી મુજબ એક જ પરિવારના સાત લોકો પણ ગુમ છે. 20થી વધુ લોકો હજુ દટાયેલા હોવાના અહેવાલ છે. આ એ લોકો છે જે શિવ મંદિરમાં આવ્યા હતા. પરંતુ આ સિવાય રસ્તા પરથી નીકળતા કેટલા લોકો ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા.
શિમલાના સમરહિલમાં દટાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ગઈકાલે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાના કારણે સમરહિલના શિવ મંદિરમાં સવારથી જ લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે સવારે લગભગ 7.15 વાગ્યે મંદિર પર ઝાડ સાથે ભારે કાટમાળ તૂટી પડ્યો હતો. જેના કારણે આ મંદિર સંપૂર્ણપણે કાટમાળમાં દટાઈ ગયું હતું.
આસપાસના લોકોને જાણ થતાં જ તમામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. પ્રશાસન, પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારણે તંત્ર ઘણા કલાકો બાદ ઘટનાસ્થળે પહોંચી શકી હતી. જવાનોએ હાથ વડે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
સોમવાર રાત સુધી એક પછી એક આઠ મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે આજે સવારે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, નાયબ મુખ્ય પ્રધાન મુકેશ અગ્નિહોત્રી અને અન્ય કેટલાક પ્રધાનો અને વિધાન સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યની સમીક્ષા કરી હતી.