ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ મહા મેળામાં પોલીસ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે પદયાત્રીઓની સેવામાં જોડાયા

2 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તંત્ર દ્વારા પદયાત્રીઓને વિવિધ સુવિધા પ્રદાન કરવામાં આવી છે. અંબાજી મેળામાં સાત દિવસ દરમિયાન ૩૦ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ માઁ અંબેના દર્શને આવતા હોય છે.
અંબાજી મહા મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. પોલીસ જવાનો Not Force but facilitation મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા છે. મેળામાં દૂર દૂરથી આવતા વૃદ્ધ, દિવ્યાંગ લોકોને વ્હીલ ચેર સાથે માઁ અંબેના દર્શનનો લાભ આપી રહ્યા છે. આમ પોલીસ જોવાનો સુરક્ષા સાથે યાત્રિકોની સેવા કરીને Not Force but facilitation નું સૂત્ર સાકાર કરી રહ્યા છે.
અંબાજી મહા મેળામાં તમામ દર્શનાર્થીઓ માઁ અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ ઊભા કરાયા છે. યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની સુવિધા મળી રાય છે. દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન -ઈ-રીક્ષાની વિશેષ સુવિધાનો લાભ યાત્રિકો મેળવી રહ્યા છે.








