WAKANER:વાંકાનેરના દિઘલિયામાં પશુઓને પાણી પીવડાવવા જેવી નજીવી બાબતે ડખ્ખો: એક જ પરિવારના ૬ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી







WAKANER:વાંકાનેરના દિઘલિયામાં પશુઓને પાણી પીવડાવવા જેવી નજીવી બાબતે ડખ્ખો: એક જ પરિવારના ૬ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી


વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામે ગ્રામ પંચાયતના અવાડે પશુઓને પાણી પીવડાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મામલે ગામના જ એક પરિવારના ૬ શખ્સોએ લાકડીઓ સાથે ધસી આવી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, દિઘલિયા ગામે રહેતા અને ખેતીકામ કરતા અબ્દુલભાઈ સાવદીભાઈ ખોરજીયા (ઉ.વ. ૪૨) ના ઘર પાસે ગ્રામ પંચાયતનો અવાડો આવેલો છે. આ અવાડે આરોપી સામતભાઈ ખેંગારભાઈ પોતાના પશુઓને પાણી પાવા આવ્યા હતા. અવાડામાં પાણી ઓછું હોવાથી સામતભાઈએ ઉશ્કેરાઈને ફરિયાદીના ભાઈ અને માતાને ગાળો આપવાનું શરૂ કર્યું હતું.
આ સમયે ફરિયાદીની પત્નીએ વચ્ચે પડીને ગાળો બોલવાની ના પાડી હતી અને જણાવ્યું હતું કે, જો કોઈ રજૂઆત હોય તો સરપંચના ઘરે જઈને કરો. આ વાતનું મનદુઃખ રાખીને આરોપીઓ લાકડીઓ સાથે ધસી આવ્યા હતા.
આ મામલે અબ્દુલભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે:સામતભાઈ ખેંગારભાઈ – પ્રવીણભાઇ સામતભાઇ – મહેશભાઇ સામતભાઈ – લાખાભાઈ ખેંગારભાઇ – જયપાલભાઇ લાખાભાઇ – મહિપાલભાઇ લાખાભાઇ – આરોપીઓએ ફરિયાદીના માતાને અપશબ્દો કહી, પરિવારને લાકડીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




