MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વાંકાનેરના હોલમઢ ગામના શ્રમિક પરિવારના જીવન માં સુખ નો છાંયડો બની

 

WAKANER:પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વાંકાનેરના હોલમઢ ગામના શ્રમિક પરિવારના જીવન માં સુખ નો છાંયડો બની

ચોમાસામાં પતરાના કાચા મકાન માં રહેતા પરિવારને ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ ના માધ્યમથી મળી રૂ. ૧.૭૦ લાખની આર્થિક સહાય

“વરસાદની ઋતુમાં કાચા પતરાવાળા મકાનમાંથી પાણી ટપકતું ત્યારે આખો પરિવાર ચિંતામાં ડૂબી જતો. મજૂરી કામમાંથી માંડ ઘરનું ગુજરાન ચાલતું હોય, પાકું મકાન બનાવવું અમારા માટે એક સપનું હતું. ત્યારે સરકારશ્રીની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાએ અમારા માથા પર પાકી છત આપીને સુરક્ષિત જીવન આપ્યું છે.” આ લાગણીસભર શબ્દો મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના વતની ખોડાભાઈના છે, જેમના જીવનમાં આ આવાસ યોજના સુખનો છાંયડો બનીને આવી છે.

ખોડાભાઈ તેમના પત્ની અને ત્રણ બાળકો સાથે હોલમઢ ગામમાં રહે છે અને છૂટક મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ વર્ષોથી પતરાવાળા કાચા મકાનમાં રહેવા મજબૂર હતા. આ મુશ્કેલીના સમયે ગામના સરપંચશ્રીના માર્ગદર્શનથી તેઓને સરકારશ્રીની આવાસ યોજનાની માહિતી મળી. વધુ વિગતો માટે તેમણે જિલ્લા સમાજ કલ્યાણ કચેરી, મોરબીનો સંપર્ક કર્યો, જ્યાં અધિકારીઓ દ્વારા ડિજિટલ માધ્યમથી ઓનલાઈન અરજી કરવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખોડાભાઈએ સરકારશ્રીના ‘ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ’ પર ઓનલાઈન અરજી સબમિટ કરી હતી. તેમની અરજી મંજૂર થતાં નવું મકાન બાંધવા માટે તેમને ચાર હપ્તામાં કુલ રૂ. ૧,૭૦,૦૦૦/- ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ સહાયની મદદથી તેઓએ નિયત સમયમર્યાદામાં પોતાનું પાકું મકાન પૂર્ણ કર્યું છે અને આજે તેમનો પરિવાર ગૌરવભેર સુરક્ષિત આવાસમાં રહી રહ્યો છે. ખોડાભાઈ અને તેમનો પરિવાર મુશ્કેલ સમયમાં પડખે ઊભા રહેવા બદલ સરકાર અને મોરબી જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC), આર્થિક પછાતવર્ગ (EBC) અને વિચરતી-વિમુકત જાતિના ઘરવિહોણા, માલિકીનો પ્લોટ કે જર્જરિત મકાન ધરાવતા ઈસમોને વસવાટની સુવિધા આપવાનો છે. આ યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં નવું મકાન બાંધવા માટે રૂ. ૧,૭૦,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે, જેમાં મકાન બાંધકામ પૂર્ણ કરવા માટે ૨ વર્ષનો સમયગાળો નિયત થયેલ છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ જરૂરી દસ્તાવેજો જેવા કે જાતિ/આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જમીન માલિકીના દસ્તાવેજો, બેંક પાસબુક અને ફોટોગ્રાફ્સ સહિતના દસ્તાવેજો સાથે https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે.

Back to top button
error: Content is protected !!