WAKANER વાંકાનેરમાં માનવતા મરી પરવારી: ૭-૮ વર્ષથી ભીખ માંગીને ભેગા કરેલા વૃદ્ધાના ૫૦ હજાર રોકડા ચોર ચોરી ગયા

WAKANER વાંકાનેરમાં માનવતા મરી પરવારી: ૭-૮ વર્ષથી ભીખ માંગીને ભેગા કરેલા વૃદ્ધાના ૫૦ હજાર રોકડા ચોર ચોરી ગયા
જીનપરા ગૌશાળા રોડ વિસ્તારની કરૂણ ઘટના: માનસિક અસ્થિર વૃદ્ધાના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો હાથફેરો કરી ગયા
પડોશીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરીયાદ: પોલીસે ચોર ઈસમની શોધખોળ શરૂ કરી
વાંકાનેર શહેરના જીનપરા ગૌશાળા રોડ વિસ્તારમાં માનવતા શરમાવે તેવી એક અત્યંત કરૂણ ચોરીની ઘટના સામે આવી છે. અહીં ભિક્ષાટન કરીને પોતાનું ગુજરાન ચલાવતા એક માનસિક અસ્થિર વૃદ્ધાના બંધ મકાનમાંથી આશરે રૂ. ૫૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી કોઈ અજાણ્યો તસ્કર ફરાર થઈ ગયો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ખાતે રહેતા રમેશભાઈ બચુભાઈ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ચોરીની ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ, તેમના પડોશમાં રહેતા નિર્મળાબેન માનસિક અસ્થિરતા ધરાવે છે અને છેલ્લા સાત-આઠ વર્ષથી ભીખ માંગીને પોતાનું પેટ રળે છે. નિર્મળાબેને છેલ્લા કેટલાક વર્ષોથી ભીખ માંગીને રૂ. ૫૦,૦૦૦ જેટલી રોકડ રકમ ભેગી કરી મકાનમાં રાખી હતી.
દરમિયાન, કોઈ અજાણ્યા ચોર ઈસમે નિર્મળાબેનના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી આજીવન કમાણી સમાન રૂ. ૫૦,૦૦૦ની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ અંગે પડોશી રમેશભાઈ મકવાણાની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









