
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર નર્મદામાં વધતા દારૂના ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માં
તાહિર મેમણ – ડેડીયાપાડા -22/05/2026 – નર્મદા જિલ્લામાં પોલીસની સાઠગાંઠથી દારૂના ધંધા ચાલતા હોવાના આક્ષેપ, સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને કરી રજૂઆત
વિગત :
ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ ધનજીભાઈ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી નર્મદા જિલ્લાના વિસ્તારમાં વધી રહેલા દારૂના ધંધા અંગે ગંભીર રજૂઆત કરી છે. પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે નર્મદા જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનો વેપાર ચાલી રહ્યો છે અને તેમાં કેટલાક પોલીસ કર્મચારીઓની સાઠગાંઠ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સાંસદે પત્રમાં લખ્યું છે કે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં દારૂના અડ્ડાઓ સામે અસરકારક કાર્યવાહી થતી નથી. જેના કારણે સામાન્ય જનતા, ખાસ કરીને યુવાનો પર ખરાબ અસર પડી રહી છે. તેમણે જણાવ્યું કે પોલીસ વિભાગની કામગીરી પ્રત્યે લોકોમાં અસંતોષનો માહોલ ઉભો થયો છે.
પત્રમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નામો લોકો દ્વારા ચર્ચામાં આવી રહ્યા છે. જો આ બાબતની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટો ભાંડો ફૂટે તેવી શક્યતા હોવાનું પણ સાંસદે જણાવ્યું છે.
સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી દારૂના ગેરકાયદેસર ધંધા બંધ કરાવવા તેમજ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.




