
ડેડીયાપાડા કોર્ટે ચેક રિટર્ન કેસમાં ચુકાદો આપ્યો આરોપીને 22 માસની કેદ ₹20.68 લાખનો દંડ ફટકાર્યો

તાહિર મેમણ – ડેડીયાપાડા – ડેડીયાપાડા કોર્ટે ચેક રિટર્ન સંબંધિત એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપીને દોષિત ઠેરવી 22 માસની સાદી કેદ અને ₹20.68 લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસ હેમાક્ષી સેલ્સ એજન્સીના પ્રોપરાઈટર રાજેન્દ્રસિંહ વાઘસિંહ પુરોહિત વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.કેસ દરમિયાન, ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો, ચેક અને અન્ય પુરાવાઓના આધારે અદાલતે આરોપીને દોષિત ઠરાવ્યો હતો. પંજાબ નેશનલ બેંક તરફથી તત્કાલીન મેનેજર ગૌરાંગભાઈ પટેલ અને બાદમાં વિજયભાઈ પટેલ દ્વારા ફરિયાદ આગળ ધપાવવામાં આવી હતી.
અદાલતે આરોપીને 22 માસની સાદી કેદ અને ₹20,68,000/- નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ન ભરાય તો આરોપીને વધુ બે માસની સાદી કેદ ભોગવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફરિયાદીને ચેકની મૂળ રકમ તથા 9% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો પણ હુકમ કરાયો છે.
પોતાના ચુકાદામાં અદાલતે નોંધ્યું હતું કે ચેક એ વેપારિક વિશ્વાસનું મહત્વપૂર્ણ સાધન છે. આવા ગુનાઓ વધી રહ્યા હોવાથી કડક સજા જરૂરી બની છે, જેથી આર્થિક વ્યવહારોમાં વિશ્વાસ જળવાઈ રહે અને કાયદાનો કડક અમલ થાય.



