
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામના મુખ્ય બજારમાં શ્રીજી હોટેલની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તાર તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી રસ્તાની વચ્ચે ઉભી રાખવામાં આવેલી એક બંધ અને તૂટેલી લારીને કારણે અવરોધિત બન્યો હોવાનું સ્થાનિક રહિશોએ જણાવ્યું છે.આ રસ્તો એપાર્ટમેન્ટો, રહેણાંક મકાનો તેમજ મુખ્ય બજારના પાછળના ભાગમાં આવેલા ઘરોમાં રહેતા લોકો માટે અંદર-બહાર જવાનો એકમાત્ર મુખ્ય માર્ગ છે. આ માર્ગ પરથી રોજિંદા પગપાળા રાહદારીઓ ઉપરાંત મોટરસાઇકલ, કાર, રિક્ષા, ટેમ્પો અને અન્ય વ્યાવસાયિક વાહનોની અવરજવર થતી હોવાથી રસ્તાની વચ્ચે પડેલી લારી ટ્રાફિક માટે મોટી અડચણ બની રહી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ લારી ઘણા સમયથી કોઈપણ પ્રકારના ઉપયોગ વગર બંધ હાલતમાં ઉભી છે, જેના કારણે સામસામે વાહનો આવી જતા વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનચાલકો વચ્ચે બોલાચાલીની સ્થિતિ પણ ઊભી થાય છે. લારીને બચાવીને પસાર થવાના પ્રયાસમાં કેટલાક વાહનોને નુકસાન પણ થયું હોવાનું રહિશોનું કહેવું છે. ઉપરાંત કોઈ રાહદારી અથવા વાહનચાલકને અકસ્માતે ઈજા થાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે.રહિશોનું કહેવું છે કે ખેરગામ બજારની ટ્રાફિક સમસ્યા અંગે અગાઉ પણ અનેક વખત સમાચાર પ્રકાશિત થઈ ચૂક્યા છે. છતાં રસ્તા પર ગેરકાયદેસર રીતે ઉભી રાખવામાં આવેલી આ લારી દૂર કરવામાં ન આવતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિકોએ સંબંધિત તંત્રને આ મુદ્દાને ગંભીરતાથી લઈને રસ્તા પરનું ગેરકાયદે દબાણ દૂર કરાવી લારીને તાત્કાલિક હટાવવાની માંગ કરી છે, જેથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે અને રહિશો તેમજ વાહનચાલકો નિર્ભયતાથી અવરજવર કરી શકે



