વાંસદામાં ‘સુપોષણ આહાર કીટ’નું વિતરણ, આંગણવાડીના બાળકોના પોષણ અને સ્વસ્થ વિકાસ માટે વિશેષ ઝુંબેશ

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તેમજ કુપોષણને દૂર કરી બાળકોના સ્વસ્થ અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી ‘સુપોષણ આહાર કીટ’ વિતરણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલ, કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભૂરાભાઈ શાહના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં જરૂરિયાતમંદ અને કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જે અંતર્ગત વાંસદા તાલુકાના સદાફળ ફળિયા, વાંસદા ખાતે આવેલી આંગણવાડીમાં બાળકોને સુપોષણ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટના માધ્યમથી બાળકોને જરૂરી પોષક તત્ત્વો મળી રહે અને તેમના આરોગ્ય તથા શારીરિક વિકાસને વેગ મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બાળકોના પોષણ અને આરોગ્યને સમાજના વિકાસ સાથે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ પાસું ગણાવી ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, કુપોષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે. બાળક સ્વસ્થ હશે તો પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય વધુ મજબૂત બનશે.બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શરૂ કરાયેલી આ પહેલને વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા પણ આવકારવામાં આવી હતી.




