નવસારીને સ્માર્ટ સિટી બનાવવા મહાનગરપાલિકાના કમિશ્નર જયેશ ઉપાધ્યાયનો મેરાથોન ફીલ્ડ વિઝીટ અભિયાન શરૂ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૧: સતત ચાર દિવસ સુધી આઇકોનિક રોડ, કબિલપોર તળાવ, ગ્રીડ અંડરબ્રિજ સહિતના વિકાસકાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કામની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. નવસારી શહેરના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા માટે નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય (IAS) દ્વારા સતત ચાર દિવસથી શહેરભરના વિવિધ વિકાસકાર્યોની સઘન મુલાકાત પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરને વધુ આધુનિક, સુવિધાસભર અને સ્માર્ટ બનાવવા માટે ચાલી રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું તેમણે સ્થળ પર જઈ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આ મુલાકાત દરમિયાન ગ્રીડથી વિવેકાનંદ સર્કલ સુધીના આઇકોનિક રોડ, કબિલપોર તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અને ગ્રીડ અંડરબ્રિજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે સ્વામી વિવેકાનંદ જીમખાનું, તરણકુંડ, ટાટા મ્યુઝિકલ ફાઉન્ટેન તથા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓની સ્થિતિ પણ તપાસવામાં આવી હતી. કમિશ્નર શ્રીએ તમામ સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે દરેક પ્રોજેક્ટમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને તમામ કામો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સુંદર અને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના કારણે નાગરિકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.




