નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો:

વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ

નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત નવસારી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા ૧૭ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ઉમર આધારિત ગેરકાયદેસર દબાણ , રસ્તા -આંગળવાડી -પ્રાથમિક શાળા બાંધકામ , જમીન સંપાદન અને માપણી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં અરજદારોના પ્રશ્નોનો સંતોષજનક નિકાલ કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના, નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે સૂચનાઓ કર્યા હતા.
સ્વાગત કાર્યક્રમ એ પ્રજાના અવાજને સાંભળવાનું અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનું સશક્ત માધ્યમ છે. સરકારી નિર્ણયોનું ચુસ્ત પાલન થાય અને અરજદારોને ન્યાય મળે તે તમામ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે એમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, અધિક કલેક્ટરશ્ વાય.બી. ઝાલા, પ્રાંત અધિકારીઓ તથા અન્ય વિભાગોના અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.




