Rajkot: નગર રચના યોજના નં-૪૩ વાજડીવડની આખરી યોજના જાહેર કરાઈ

તા.૨૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે
Rajkot: રાજકોટના નગર રચના યોજનાના નગર રચના અધિકારીશ્રી, નગર નિયોજક-૧ દ્વારા યોજના નં-૪૩ વાજડીવડની આખરી યોજના અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. જે અન્વયે નિયોનુસાર, જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૪૩ (વાજડીવડ)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.
આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બોર્ડ ઑફ અપીલના પ્રમુખશ્રી, બોર્ડ ઓફ અપીલની કચેરી, (સી/ઓ, મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-૩, ક્રોસ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ લગાવી ત્રણ નકલમાં લેખિત અપીલ અરજી કરી શકશે.
ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૩ મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-૫૪ મુજબ કેટલાક નિર્ણયો કલમ-૫૫ મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે.
તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, નગર રચના અધિકારીની કચેરી, નગર નિયોજક-૧, રાજકોટ નગર રચના યોજના-રાજકોટ, આર.એમ.સી. મલ્ટીએક્ટિવિટી સેન્ટર, પ્રથમ માળ, નાના મવા સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે, તેમ નગર રચના અધિકારી શ્રી એમ.આર. મોણવેલવાલાની યાદીમાં જણાવાયું છે.




