NAVSARINAVSARI CITY / TALUKO

વાંસદા નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા ખાતે ભગવાન પરશુરામ જયંતિ નિમિતે અતિ ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. વાંસદા ખાતે આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે ભૂદેવના હસ્તે યગ્ન પૂજા અર્ચના સાથે દરેક તરફ “જય પરશુરામ”ના ગુંજતા જયઘોષથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. આ પવિત્ર પ્રસંગે વહેલી સવારથી જ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, હવન અને ધાર્મિક વિધિઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ નિમિતે નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જેમાં પરશુરામજીની આકર્ષક ઝાંખીઓ, ધ્વજ-બેનરો, અને ભક્તિમય સંગીત સાથેનો ઉમંગ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં જોડાયેલા ભૂદેવો પરંપરાગત વેશભૂષામાં નજરે પડ્યા હતા, જ્યારે યુવાઓ અને મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને વધુ જીવંત બનાવ્યો હતો. માર્ગમાં અનેક સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠંડા પાણી તથા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

ધાર્મિક માન્યતા મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ભગવાન પરશુરામનો અવતાર થયો હતો. તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે માન્ય છે અને ‘ચિરંજીવી’ તરીકે પૂજાય છે. પરશુરામજી સાહસ, જ્ઞાન અને શક્તિના પ્રતિક છે, તેમજ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં પારંગતતા ધરાવતા હોવાથી તેઓ હિંદુ ધર્મમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

આ પ્રસંગે ધાર્મિક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તાઓએ પરશુરામજીના જીવનચરિત્ર, તેમના આદર્શો અને સમાજ માટેના સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો. ભક્તજનોને સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન ભક્તિભાવ, શિસ્ત અને ઉમંગ સાથે પૂર્ણ થયું હતું, અને વાંસદા નગર પરશુરામ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

Back to top button
error: Content is protected !!