Rajkot: રાજકોટ જિલ્લાના દિવેલા-એરંડા પકવતા ખેડૂતો માટે વિનામૂલ્યે સહાયિત બિયારણ વિતરણ કાર્યક્રમ શરૂ

તા.૩૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકાર દ્વારા તેલીબિયાં પાકોનો વ્યાપ વધારવા National Mission on Edible Oil (NIMEO) – Oil seed યોજના કાર્યરત છે. જેના અંતર્ગત દિવેલા પાકમાં પ્રમાણિત બીજ વિતરણ ૧૦૦% સહાય (ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા પ્રમાણિત બીજની કિંમતની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર માટે)થી રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં લાભ મળે, તે હેતુસર રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા સહાયિત બિયારણ વિતરણ કાર્યક્રમ શરુ થયો છે. આ વિતરણ મર્યાદિત સમય માટે જ હોવાથી, રાજકોટ જિલ્લામાં દિવેલા-એરંડા પકવતા વધુમાં વધુ ખેડૂતોએ ‘વહેલા તે પહેલા’ના ધોરણે લાભ લેવા માટે ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી – ખેતી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા સંયુક્ત ખેતી નિયામક (વિતરણ)ની કચેરીની યાદીમાં જણાવાયું છે.



