૨૬-જુલાઈ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
આત્મનિર્ભર ભારત ત્યારે જ બનશે જ્યારે દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે. – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત.
પ્રાકૃતિક ખેતી એ ઈશ્વરીય કાર્ય છે જેનાથી ખેડૂતના આર્થિક ઉપાર્જનમાં પણ વધારો થાય છે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત.
આવકમાં કોઈપણ પ્રકારના ઘટાડા વિના કેવી રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે તેનું માર્ગદર્શન આપતા માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.
કચ્છ જિલ્લામાં કુલ ૫૦,૩૭૨થી વધારે ખેડૂતએ બાયગેસના માધ્યમથી પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું.
ભુજ કચ્છ :-માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો, શિક્ષકો આ પરિસંવાદમાં વંદે ગુજરાત ચેનલ બાયસેગના માધ્યમથી જોડાયા હતા. આ પ્રસંગે ખેડૂતોને માર્ગદર્શન આપતા માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતની ધરતી ઉપર થઈ છે. રાજ્યપાલશ્રીએ દેશના વડાપ્રધાનશ્રીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી ઈચ્છે છે કે દેશના ખેડૂતો સમૃદ્ધ બને અને ખુશીથી જીવન વ્યતિત કરે. પ્રાકૃતિક ખેતી વિશે વધુ માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખેતીના ખરાબ પરિણામો હાલ જોવા મળી રહ્યા છે. રાસાયણિક ખેતીના લીધે ખેડૂતોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને તેમની આવક પણ ઘટી છે. જેના લીધે ખેડૂતોના માથે દેવુ થઈ રહ્યું છે. આથી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે એ વાત મિથ્યા છે. રાજ્યપાલશ્રીએ પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો વિશે વાત કરીને મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો. આવકમાં કોઈપણ પ્રકારના ઘટાડા વિના કેવી રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે તે બાબતે રાજ્યપાલશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીની સમજણ સાથે ખેત પેદાશોનું વેચાણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યાઓ નક્કી કરવામાં આવનારી છે તેના વિશે પણ માહિતી આપી હતી. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેત-પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે સ્થાનિકકક્ષાએ અલાયદી માર્કેટ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, રાજ્યપાલશ્રીએ કેવી રીતે જીવામૃત બનાવવું, ઘનામૃત બનાવવું તેની તાલીમ લેવા ખેડૂતોને અપીલ કરી હતી. પ્રાકૃતિક ખેતી કલ્યાણકારી છે તે વાતને સમજાવવા માટે રાજ્યપાલશ્રીએ પોતાના કુરુક્ષેત્ર ખાતેના પ્રાકૃતિક ખેતી ફાર્મના વિવિધ વીડિયો દર્શાવીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં ૭.૧૩ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેવું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈને તાલીમ લઈ શકે તે માટે ૧૦-૧૦ ગામડાઓના કલસ્ટર બનાવીને ટ્રેનરની નિમણૂક કરવામાં આવી છે તેમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું. વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પોતાની સાથે જોડે અને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપે એવો અનુરોધ રાજ્યપાલશ્રીએ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત ત્યારે જ બનશે જ્યારે દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે. પ્રાકૃતિક ખેતી એક ઈશ્વરીય કાર્ય છે અને તેનાથી ખેડૂતના આર્થિક ઉપાર્જનમાં વધારો થાય છે તેવું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું. આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કચ્છ જિલ્લામાં કુલ ૫૦,૩૭૨ ખેડૂતએ જોડાઈને રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લામાં કેડીસીસી બેંક, આત્મા તાલીમ કેન્દ્ર, ગ્રામ પંચાયત સહિત સ્થળોએ ખેડૂતોએ, શિક્ષકોએ આ પરિસંવાદને નિહાળ્યો હતો. ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજ ખાતે જિલ્લાના આત્માના નાયબ નિયામકશ્રી પી.કે.તલાટી ઉપસ્થિત રહ્યા હતા.